નવી દિલ્હી: બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં ઓમિક્રોનના અત્યાર સુધીમાં લગભગ 5000 કેસ સામે આવી ચૂક્યા છે. ઓમિક્રોનથી સંક્રમિત 10 લોકો હોસ્પિટલમાં દાખલ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે કહ્યું કે ઓમિક્રોન એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી શકે છે. આવામાં કોરોના વાયરસ પ્રતિબંધોને વધુ કડક કરવાની અને બુસ્ટર રસી શોટ્સમાં ઝડપ લાવવાનો સમય છે. ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 64 કેસ સામે આવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59610 કેસ સામે આવ્યા છે. 9 જાન્યુઆરી બાદ આ સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 150થી વધુ મોત થયા છે. અહીં કોરોનાથી સંક્રમિત દરરોજ લગભગ 811 લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. હાલ બ્રિટનની હોસ્પિટલોમાં 7400 દર્દી દાખલ છે. જો કે જાન્યુઆરીની સરખામણીમાં તેમાં કમી આવી છે. તે સમયે 39000 લોકો હોસ્પિટલમાં દાખલ હતા. હાલ ઓમિક્રોનથી સંક્રમિત ફક્ત 10 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 


અનિયંત્રિત થવા પર સ્થિતિ બગડી શકે છે
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે ઓમિક્રોન સંક્રમક છે. જો કે અત્યાર સુધી આ અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઓછો ગંભીર સાબિત થયો છે. પરંતુ જો તે અનિયંત્રિત થઈ જાય તો હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યા વધી જશે. આ બાજુ ઓમિક્રોનના જોખમને જોતા બ્રિટનમાં તમામ વયસ્કોને ડિસેમ્બરના અંત સુધીમાં બુસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 


એટલું જ નહીં હવે યુકે સ્વાસ્થ્ય વિભાગે રસીમાં તેજી લાવવા માટે તે 15 મિનિટના ઓબ્ઝર્વેશન પીરિયડને પણ ખતમ કર્યો છે. વાત જાણે એમ છે કે બ્રિટનમાં ફાઈઝર અને મોર્ડર્ના રસી લીધા બાદ કોઈ પણ વ્યક્તિને 15 મિનિટ માટે ઓબ્ઝર્વેશન પીરિયડમાં રાખવામાં આવે છે. 


ભારતમાં શું છે સ્થિતિ
ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 64 કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 28 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં 6, તેલંગણામાં 3 તથા ચંડીગઢમાં એક કેસ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6984 નવા કેસ નોંધાયા છે. જ્યારે 247 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ 87,562 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,34,61,14,483 ડોઝ અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube