નવી દિલ્હી, મનીષ શુક્લા: 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ છે. આ બંધ થયેલી નોટો સતત મળી આવવાનો કોયડો તપાસ એજન્સીઓએ ઉકેલી નાખ્યો છે. તપાસ એજન્સીઓના એક રિપોર્ટ મુજબ નકલી નોટોના કારોબારમાં લાગેલી સિન્ડિકેટ આ નોટોને ચૂપચાપ નેપાળ પહોંચાડી રહ્યાં છે. પાકિસ્તાનની આઈએસઆઈ અને ડી કંપની સાથે જોડાયેલા એજન્ટો પાક સ્મગલર્સની મદદથી આ નોટોની ખરીદી કરીને કરાચી અને પેશાવરના પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


કરાચી અને પેશાવરના પ્રિન્ટિંગ પ્રેસમાં પાકિસ્તાની નોટોનું પણ છાપકામ થાય છે. ત્યાં હાજર એક્સપર્ટ ભારતીય નોટો પર લાગેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈના સિક્યોરિટી વાયરને કાઢીને નવા 500, 2000 અને 50ની નકલી નોટો પર લગાવી દે છે. જેનાથી અસલી અને નકલી નોટોની ઓળખ ખુબ જ મુશ્કેલ બને છે. કરાચી અને પેશાવરથી બનાવવામાં આવેલી આ નવી નકલી ભારતીય નોટોને ફરીથી એકવાર ડી કંપનીની મદદથી દુબઈ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મોકલી દેવાય છે. તસ્કરોની મદદથી આ નોટો ભારતમાં ઘૂસાડાય છે.


 


તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ અલગ અલગ રાજ્યોમાંથી લાખો રૂપિયાની નોટો પકડાઈ છે. આ નકલી નોટોના કારોબારમાં સંડોવાયેલા તસ્કરોની પૂછપરછ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તેઓ જૂની ભારતીય નોટોને નેપાળ મોકલે છે. ત્યાં પાકિસ્તાની તસ્કરો તેના બદલે તેમને નાણા આપે છે.


ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તપાસ એજન્સીઓ એ માલુમ કરવામાં લાગી છે કે જ્યારથી સરકારે નોટબંધી કરી ત્યારથી અત્યાર સુધીમાં કેટલી સંખ્યામાં જૂની નોટો નેપાળ કે બીજા દેશોમાં મોકલવામાં આવી છે. એનઆઈએ ફેક ઈન્ડિયન કરન્સી નોટ એટલે કે (FICN)ની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે જાલી નાટો મળી આવી છે તેની ક્વોલિટીમાં ખુબ બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અસલી નકલીનો ભેદ પારખવો સામાન્ય માણસો માટે સરળ નથી.