નવી દિલ્હી: આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમ સંયુક્ત રાષ્ટ્રમાં બેનકાબ થયેલા પાકિસ્તાને સરહદ પારથી વધુ એક નાપાક હરકત કરી છે. પાકિસ્તાને આ વખતે ભારતની એરસ્પેસમાં ઘૂસવાનું સાહસ કર્યુ છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ભારતની સરહદમાં દાખલ થતું જોઈ શકાય છે. રિપોર્ટ્સ મુજબ ભારતીય સેનાએ હેલિકોપ્ટરને જોઈને જવાબી કાર્યવાહીમાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ તે પાછુ જતું રહ્યું. ભારતીય વાયુસરહદનો ભંગ કરીને પાકિસ્તાને ફરી એકવાર તણાવ પેદા કરવાનું કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે આજે પૂંછના ગુલપુર સેક્ટરમાં બપોરે લગભગ 12.30 વાગે હેલિકોપ્ટર ભારતની સરહદની અંદર દાખલ થતું જોવા મળ્યું હતું. આ હેલિકોપ્ટર ભારતની સરહદમાં અનેક મીટર સુધી અંદર દાખલ થયું હતું. વીડિયોમાં સુરક્ષાદળો તરફથી ચલાવવામાં આવેલા ગન શોટ્સના અવાજ પણ સાંભળી શકાય છે. અત્રે જણાવવાનું કે આ વિસ્તાર ઘૂસણખોરીને લઈને ખુબ સંવેદનશીલ ગણાય છે. 


જેટલી ઉંચાઈ પર આ હેલિકોપ્ટર ઉડી  રહ્યું હતું તેનાથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્તારની રેકી કરવા માટે તે આવ્યું હોવું જોઈએ. નિયમો મુજબ રોટરવાળુ કોઈ વિમાન નિયંત્રણ રેખાની એક કિલોમીટરની નજીક ન આવી શકે જ્યારે રોટરનું કોઈ પ્લેન સરહદની 10 કિમી નજીક જઈ શકે નહીં. 


સુષમાના વલણથી અકળાયું પાકિસ્તાન 
ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે યુએનમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજના આકરા તેવરથી અકળાયેલા પાકિસ્તાને આવું પગલું ભર્યુ હોય તેવું લાગે છે. અત્રે જણાવવાનું કે સુષમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે પાકિસ્તાન એક એવો પાડોશી દેશ છે જેને આતંકવાદ ફેલાવવાની સાથે સાથે પોતે કરેલા કામને નકારવામાં પણ મહારથ હાંસલ છે. પાકિસ્તાનને આતંકવાદીઓના સુરક્ષિત પનાહગાહ ગણાવતા સુષમાએ કહ્યું કે 26/11નો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અત્યાર સુધી ખુલ્લો ફરતો રહ્યો છે.