PM Modi Statement: સંસદના વિશેષ સત્રની શરૂઆત પીએમ મોદીના સંબોધનથી થઈ. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું જૂનું ભવન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. સંસદની જૂની ઈમારત ભલે વિદેશી શાસકોએ બનાવડાવી હોય પરંતુ તેમાં પરસેવો અને પૈસા ભારતીયોના લાગ્યા છે. જૂના સંસદ ભવનમાં વિશેષ સત્ર દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશની 75 વર્ષ જૂની સંસદીય યાત્રા તેનું એકવાર ફરીથી સ્મરણ કરવા માટે અને નવા સદનમાં જતા પહેલા તે પ્રેરક પળોને, ઈતિહાસની મહત્વપૂર્ણ ઘડીને સ્મરણ કરતા આગળ વધવાનો અવસર છે. આપણે બધા આ ઐતિહાસિક ભવનમાંથી વિદાય લઈ રહ્યા છીએ. આઝાદી પહેલા આ સદન ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન રહેતું હતું. આઝાદી બાદ તેને સંસદ ભવન તરીકે ઓળખ મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની સંસદમાં છે ભારતીયોનો પરસેવો
પીએમ મોદીએ કહ્યું કે એ સાચું છે કે આ ઈમારતના નિર્માણ કરવાનો નિર્ણય વિદેશ શાસકોનો હતો પણ એ વાત આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં અને ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો મારા દેશવાસીઓનો પડ્યો હતો. પરિશ્રમ મારા દેશવાસીઓનો લાગ્યો હતો અને પૈસા પણ મારા દેશના લોકોના લાગ્યા હતા. 


લોકતંત્રની 75 વર્ષની યાત્રા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ 75 વર્ષની આપણી યાત્રાએ અનેક લોકતાંત્રિક પરંપરાઓ અને પ્રક્રિયાઓનું ઉત્તમમાં ઉત્તમ સર્જન કર્યું છે અને આ સદનમાં રહેલા પ્રત્યેક વ્યક્તિએ સક્રિયતાથી યોગદાન પણ આપ્યું છે અને સાક્ષી ભાવથી તેને જોયું પણ છે. આપણે ભલે નવા ભવનમાં જઈશું પરંતુ જૂના ભવન એટલે કે આ ભવન પણ આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે. 


G-20 ની સફળતાને બિરદાવી
સંસદના વિશેષ સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આપણે એક સ્વરે G20ની સફળતાને બિરદાવી છે. હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છું. જી20ની સફળતા દેશના 140 કરોડ નાગરિકોની સફળતા છે. તે ભારતની સફળતા છે, કોઈ વ્યક્તિ કે પાર્ટીની નથી. આ આપણા બધા માટે ઉજવણી કરવાનો વિષય છે. 


જૂની સંસદમાંથી વિદાય લેવી એ ભાવુક પળો
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ સદનથી વિદાય લેવી એક ખુબ જ ભાવુક પળ છે, પરિવાર પણ જો જૂનું ઘર છોડીને નવા ઘરમાં જાય છે તો ખુબ યાદો તેને કેટલીક પળો માટે હચમચાવી મૂકે છે અને આપણે આ સદન છોડીને જઈ રહ્યા છીએ તો આપણા મન મગજ પણ તે ભાવનાઓથી  ભરેલા છે અને અનેક યાદોથી ભરેલું છે. ઉત્સવ-ઉમંગ, ખાટ્ટા મીઠા પળો, નોંકઝોંક આ યાદો સાથે જોડાયેલા છે. 


સંસદમાં પહેલીવાર પ્રવેશ પર થયા હતા ભાવુક
પ્રધાનમંત્રીએ કહ્યું કે હું પહેલીવાર જ્યારે સંસદનો સભ્ય બન્યો અને પહેલીવાર એક સાંસદ તરીકે આ ભવનમાં પ્રવેશ કર્યો તો સહજ રીતે આ સદનના દ્વાર પર મારું માથું નમાવીને પહેલું ડગલું ભર્યું હતું, તે પળ માટે ભાવનાઓથી ભરેલી હતી. 


આ સંસદમાં થઈ સંવિધાનની બેઠકો
પીએમ મોદીએ કહ્યું કે આ ભવનમાં બે વર્ષ 11 મહિના સુધી સંવિધાન સભાની બેઠકો થઈ અને દેશ માટે એક માર્ગદર્શક જે આજે પણ આપણે ચલાવીએ છીએ તેમણે આપણને બંધારણ આપ્યું. આપણું બંધારણ લાગૂ થયું, આ 75 વર્ષમાં સૌથી મોટી ઉપલબ્ધિ દેશના સામાન્ય નાગરિકોનો આ સંસદ પર વિશ્વાસ વધવો એ છે. 


સંસદ પર હુમલાનો ઉલ્લેખ
વિશેષ સત્રમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આતંકી (સંસદ ભવન પર) હુમલો થયો ત્યારે આ આતંકી હુમલો કોઈ ઈમારત પર નહીં પરંતુ એક પ્રકારે લોકતંત્રની જનની, આપણા જીવિત આત્મા પર હુમલો થયો હતો. તે ઘટનાને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. હું તે લોકોને પણ નમન કરું છું જેમણે આતંકીવાદીઓ સામે લડતા સંસદ અને તેના તમામ સભ્યોની રક્ષા માટે છાતી પર ગોળીઓ ખાધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube