નવી દિલ્હી: ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી 'કોમિરનેટી' કોરોના વાયરસ બીમારી સામે વધુ પ્રભાવી રીતે કામ કરે તે માટે ત્રીજા ડોઝની જરૂર ઊભી થઈ શકે છે. વાત જાણે એમ છે કે આ ત્રીજા કોવિડ રસીના શોટથી કોરોનાના સૌ પ્રથમ દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા બીટા વેરિઅન્ટ વિરુદ્ધ વધુ સારી સુરક્ષા મળે તેવી આશા છે. આ ઉપરાંત તે ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિઅન્ટ ઉપર પણ અસરકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા ડોઝ માટે રેગ્યુલેટરી અપ્રુવલની માંગણી
ફાઈઝર  અને બાયોએનટેકે ગુરુવારે જાહેરાત કરી કે તેમણે કોવિડ-19 રસીના ત્રીજા ડોઝ માટે રેગ્યુલેટરી અપ્રુવલની માગણી કરી છે. જાહેરાત મુજબ ત્રીજો ડોઝ એન્ટીબોડીના સ્તરને કોરોના વેરિઅન્ટની સરખામણીએ પાંચથી 10 ગણી વધુ વધારી શકે છે. તે વાસ્તવમાં બે શોટ્સને આપવાના હાલના અભ્યાસ કરતા વધુ સારું સુરક્ષા કવચ આપશે. 


ડેલ્ટા વેરિઅન્ટ પર કારગર ન જોવા મળ્યા બે ડોઝ
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણમાં ફાઈઝર કે એસ્ટ્રાજેનેકાની રસી ઓછી પ્રભાવી છે. એક અભ્યાસમાં કહેવાયું છે કે જે લોકોને પહેલા કોરોના નથી થયો અને જો તેઓ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થાય તો આવા લોકોના શરીરમાં એન્ટીબોડી બનાવવામાં આ રસી વધુ કારગર નથી. 'Journal Nature' માં પ્રકાશિત એક સ્ટડીમાં કહેવાયું છે કે કોવિડ-19નો ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાભરમાં સૌથી વધુ પ્રભાવકારી સંક્રમણ સાબિત થયું છે.


આ અભ્યાસમાં કહેવાયું છે કે રસી કે અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકોના શરીરમાં બનેલી એન્ટીબોડીથી બચી નીકળવાની ક્ષમતા ડેલ્ટા વેરિઅન્ટમાં છે. સ્ટડીમાં કહેવાયું છે કે જે લોકોએ ફાઈઝર રસી કે એસ્ટ્રાજેનેકાના બંને ડોઝ લીધા છે તેઓ આ વાયરસથી સુરક્ષિત રહી શકે છે. હાલમાં કરાયેલા અભ્યાસમાં એ વાત પર  ભારપૂર્વક કહેવાયું છે કે ફાઈઝર કે એસ્ટ્રાજેનેકાના બંને ડોઝ લેવા ખુબ જરૂરી છે. જેથી કરીને ડેલ્ટા વિરિઅન્ટના પ્રભાવથી બચી શકાય. 


ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધુ જોખમી
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને સૌથી વધુ જોખમી માન્યો છે અને ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આ વેરિઅન્ટની આક્રમકતા જોવા મળી હતી. સ્ટડીમાં કહેવાયું છે કે ભારતમાં 5 ટકાથી ઓછી વસ્તીએ રસીના બંને ડોઝ લીધા છે. આ કારણે હજુ વેરિઅન્ટનું જોખમ ટળ્યું નથી. જો કે છેલ્લા કેટલાક દિવસથી રસીકરણ ડ્રાઈવમાં ખુબ તેજી આવી છે. જે સારી વાત છે.