નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પીએમ મોદીએ પહેલીવાર દેશને મન કી બાત દ્વારા સંબોધન કર્યું. કાર્યક્રમ અગાઉ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આજનો મન કી બાત કાર્યક્રમ ખાસ હશે. પુલવામા આતંકી હુમલા પર પીએમ મોદીએ કહ્યું કે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરું છું. આ શહાદત, આતંકને સમૂળગો નષ્ટ કરવા માટે આપણને સતત પ્રેરિત કરશે. આપણા સંકલ્પને વધુ મજબુત કરશે. પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષાદળોએ આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ઈશારા ઈશારમાં લોકસભા ચૂંટણીમાં જીત બાદ ફરીથી વડાપ્રધાન બનવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે ચૂંટણી લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આગામી બે મહિના આપણે બધા ચૂંટણીમાં વ્યસ્ત રહીશું. હું પોતે પણ ચૂંટણીમાં એક ઉમેદવાર હોઈશ. સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાનું સન્માન કરતા આગામી મન કી બાત મે મહિનાના અંતમાં છેલ્લા રવિવારે થશે. હું લોકસભા ચૂંટણી બાદ એક નવા વિશ્વાસ સાથે તમારા આશીર્વાદ સાથે ફરી એકવાર મન કી બાતના માધ્યમથી આપણી વાતચીતના સિલસિલાની શરૂઆત કરીશ અને વર્ષો સુધી તમારી સાથે મનની વાત કરતો રહીશ. 


મન કી બાતના  ખાસ અંશ...


- પુલવામા હુમલા પર પીએમ મોદીએ કહ્યું કે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના તમામ વીર સપૂતોને હું નમન કરું છું. આ શહાદત, આતંકને સમૂળગો નષ્ટ કરવા માટે અમને સતત પ્રેરિત કરશે. આપણા સંકલ્પને વધુ મજબુત કરશે. 
- 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ પીએમ મોદી પહેલીવાર મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધી રહ્યાં છે. 10 દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વીર સપૂતોને ગુમાવ્યાાં. પુલવામાના આતંકી હુમલામાં વીર જવાનોની શહાદત બાદ દેશભરમાં લોકોના મનમાં આઘાત અને આક્રોશ છે.

 - તેમણે કહ્યું કે દેશ સામે આ પડકારોનો સામનો, આપણે બધાએ જાતિવાદ, સાંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ અને અન્ય તમામ મતભેદોને ભૂલીને કરવાનો છે. જેથી કરીને આતંક વિરુદ્ધ આપણા પગલાં પહેલા કરતા વધુ દ્રઢ બને, સશક્ત બને અને નિર્ણાયક રહે. પીએમ મોદીએ કહ્યું કે વીર સૈનિકોની શહાદત બાદ મીડિયાના માધ્યમથી તેમના પરિજનોની જે પ્રેરણાદાયક વાતો સામે આવી છે, તેમણે સમગ્ર દેશના જુસ્સાને વધુ બળ પૂરું પાડ્યું છે. 

- શહીદોના દરેક પરિવારની કહાની પ્રેરણાથી ભરેલી છે. હું યુવા પેઢીને ભલામણ કરીશ કે આ પરિવારોએ જે જુસ્સો બતાવ્યો છે, જે ભાવના દર્શાવી છે તેને જાણે અને સમજવાનો પ્રયત્ન કરે. 


- તેમણે કહ્યું કે આઝાદીના આટલા લાંબા સમય સુધી આપણે બધાને મેમોરિયલનો ઈન્તેજાર હતો. મેં નિશ્ચય કર્યો કે દેશમાં એક એવું સ્મારક હોવું જોઈએ. મને વિશ્વાસ છે કે દેશવાસીઓ માટે વોર મેમોરિયલ જવું એ તીર્થસ્થળ જવા જેવું હશે. વોર મેમોરિયલ બાદ સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક છે.

 - વોર મેમોરિયલની ડિઝાઈન, આપણા અમર સૈનિકોના સાહસને પ્રદર્શન કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો આધાર ચાર ચક્રો પર આધારિત છે. અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. ઓક્ટોબર 2018માં મને નેશનલ પોલીસ મેમોરિયલને દેશને સમર્પિત કરવાની તક મળી હતી. તે પણ આપણા એ વિચારનું પ્રતિબિંબ હતું જે હેઠળ આપણે માનીએ છીએ કે જે આપણી સુરક્ષામાં સતત પરોવાયેલા રહે છે તેવા પુરુષ, મહિલા પોલીસકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ. 

- પીએમ મોદીએ કહ્યું કે હું આશા કરું છું કે તમે રાષ્ટ્રીય સૈનિક સ્મારક, અને નેશનલ પોલીસ મેમોરિયલને જોવા માટે જરૂર જશો. તમે જ્યારે પણ જાઓ ત્યાં લેવાયેલી તસવીરોને સોશિયલ મીડિયા પર જરૂર શેર કરો જેથી કરીને બીજા લોકો આ મેમોરિયલને જોવા માટે ઉત્સુક બને.


- મન કી બાત કાર્યક્રમમાં તેમણે બિરસા મુંડા અને જમશેદજી ટાટાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વર્ષ 1900માં 3જી માર્ચના રોજ અંગ્રેજોએ બિરસા મુંડાની ધરપકડ કરી હતી. આ સંયોગ જ છે કે 3 માર્ચના રોજ જમશેદજી ટાટાની જયંતિ પણ છે. બંનેને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રકારે ઝારખંડના ગૌરવશાળી ઈતિહાસ અને વિરાસતને નમન કરવા જેવું છે. 


અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ભીષણ આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ પાકિસ્તાનનો બહિષ્કાર થઈ રહ્યો છે.