વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો  બાઈડેન વચ્ચે આમ તો ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ થોડીવાર માટે માહોલ એવો રમૂજી બની ગયો કે બધા જોતા રહી ગયા. બેઠકની શરૂઆત પહેલા પીએમ મોદીએ કઈક એવું કહ્યું કે બાઈડેન પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. વાત જાણે એમ છે કે ઔપચારિક અભિવાદન બાદ જ્યારે બંને નેતાઓ વાત કરવા  બેઠા તો પીએમ મોદીએ ભારતમાં બાઈડેન સરનેમની વાત શરૂ  કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું દસ્તાવેજ પણ સાથે લાવ્યો છું
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું કે તમે ભારતમાં બાઈડેન સરનેમનો ઉલ્લેખ કર્યો હતો. મે આ અંગે ઘણા દસ્તાવેજ શોધવાની કોશિશ કરી. હું તેમાંથી ઘણા કાગળો પણ મારી સાથે લાવ્યો છું. કદાચ તમે આ મામલાને આગળ વધારી શકો છો. આ વાત સાંભળતા જ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને હસવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ભારત કનેક્શન ઉપર પણ ખુબ ચર્ચા થઈ. 


બાઈડેને જણાવ્યું હતું ભારત કનેક્શન
બાઈડેને 2013માં જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે મુંબઈ આવ્યા હતા ત્યારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમના દૂરના કેટલાક સંબંધીઓ મુંબઈમાં રહે છે. વર્ષ 2015માં વોશિંગ્ટનમાં પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 1972માં સેનેટર બન્યા બાદ તેમને ભારતમાં પોતાના એક સંબંધીનો પત્ર મળ્યો હતો. તેનાથી ખબર પડી કે તેમના પરિવારના એક પૂર્વજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં બાઈડેનના પરિવારના પાંચ સભ્યો રહે છે. કોઈએ તેમને મુંબઈમાં રહેતા બાઈડેન પરિવારના ફોન નંબર પણ આપ્યા હતા. 



તેમણે લખ્યો હતો બાઈડેનને પત્ર
બાઈડેનને આ પત્ર નાગપુરના લેસ્લી બાઈડેને લખ્યો હતો. તેમના પ્રપૌત્ર નાગપુરમાં રહે છે. તેમાં દાવો કરાયો હતો કે તેમનો પરિવાર 1873થી અહીં રહે છે. લેસ્લીની પ્રપૌત્રી સોનિયા બાઈડેન ફ્રાન્સિસ નાગપુરમાં મનોચિકિત્સક છે. સોનિયાએ કહ્યું કે લેસ્લી બાઈડેન નાગપુરમાં રહેતા હતા અને તેમનું 1983માં નિધન થયું હતું. ઈલ્યુસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડિયાના એપ્રિલ 1981ના અંકને વાચીને લેસ્લીને તત્કાળ સેનેટર જો બાઈડેન અંગે માહિતી મળી હતી. 15 એપ્રિલ 1981ના રોજ લેસ્લીએ બાઈડેનને પત્ર લખ્યો હતો. 


કમલા હેરિસના માતાનો ઉલ્લેખ
બેઠક દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ બાઈડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ભારત કનેક્શન ઉપર પણ ચર્ચા કરી. તેમણે કમલા હેરિસના માતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ભારતના હતા અને જાણીતા વૈજ્ઞાનિક હતા. બાઈડેને વધુમાં કહ્યું કે આજના સમયમાં લોકોએ શાંત અને સહનશીલ બનવાની જરૂર છે. ભારત સાથેના સંબંધો પર રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત થઈ રહી છે.