પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. પીએમ મોદીએ આ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે નવી જવાબદારી પૂરી કરીશું અને નવી સરકાર પહેલા કરતા ઝડપથી દેશના વિકાસમાં કામ કરશે. આ દરમિયાન પીએમ મોદી સાંસદોને ફેક કોલ અંગે સતર્ક કરતા પણ જોવા મળ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે ટીવી પર જુઓ કે ભાત  ભાતની વાતો થઈ રહી છે. કોઈ કઈક ચલાવી રહ્યા છે તો કોઈ કઈક બીજુ ચલાવી રહ્યા છે. મને નથી ખબર કે આ બધા લોકો આવું ક્યાંથી લાવે છે. હવે તો ટેક્નોલોજી દ્વારા મારા સિગ્નેચર દ્વારા કોઈ લિસ્ટ બહાર નીકળી શકે છે. આ ઉપરાંત પીએમ મોદીએ બહુમત ઉપર પણ મોટું નિવેદન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે એવું બની શકે કે તેમાં કોઈને મંત્રી  બનાવી દેવાય અને કોઈને ડિપાર્ટમેન્ટ પણ વહેંચી દેવાય. આ રીતે આજે  અનેક લોકો સરકાર બનાવવામાં લાગ્યા છે. મંત્રી પદ અને વિભાગ વહેંચાઈ રહ્યા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આ પ્રકારના તમામ પ્રયત્નો બેકાર છે. આથી જો તમને કોઈનો ફોન આવે તો દસ વાર વેરિફાય કરજો. તેમણે કહ્યું કે તમારે એ જોવું પડશે કે આખરે એ વ્યક્તિ ઓથોરિટી છે કે પછી કોઈએ ફોન ઘુમાવીને તમને મંત્રી બનાવી દીધા. 


ગપગોળા કરનારાઓની મોટી ફૌજ
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રકારના ગપગોળા કરનારાઓની મોટી ફૌજ છે. કેટલાક લોકો આદતના કારણે કરે છે તો કેટલાક લોકોને તેમા મજા આવે છે. તમામ સાંસદોને મારો આગ્રહ છે કે આપણા લોકો આ બધાનો ભોગ ન બનીએ. આપણે જોયું કે ઈન્ડિયા ગઠબંધનના નેતા ફેક ન્યૂઝ મામલે એક્સપર્ટ બની ગયા છે. આથી તેઓ તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે આપણા આ બધી વસ્તુઓથી દૂર રહેવાની જરૂર છે. અફવાઓથી બચવું પડશે. આપણી પાસે જે ટીમ છે તે અનુભવી છે. આ લોકો એકદમ સાચી સલાહ આપનારા છે. તમારે એ માનીને ચાલવું જોઈએ કે બ્રેકિંગ ન્યૂઝના આધારે દેશ ચાલવાનો નથી. 


બહુમત પર મોટું નિવેદન
પીએમ મોદીએ એનડીએ ગઠબંધન  વિશે કહ્યું કે તે ભારતના રાજકીય ઈતિહાસનું સૌથી સફળ પ્રી પોલ એલાયન્સ છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે. કારણ કે લોકતંત્રનો એ જ સિદ્ધાંત છે. પરંતુ દેશ ચલાવવા માટે સર્વમત જરૂરી છે. આજે હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે તમે જે પ્રકારે બહુમત આપીને અમને સરકાર ચલાવવાની તક આપી છે  એ અમારા બધાની જવાબદારી છે કે અમે સર્વમત કરવાનો પ્રયત્ન કરીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. 


નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આ સૌથી સફળ અલાયન્સ છે. આ અલાયન્સ ચોથી ટર્મમાં પ્રવેશ કરી રહ્યો છે. એનડીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના માટે બનેલો સમૂહ છે. એનડીએની આ ભાવના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર બાજપેયી, પ્રકાશ સિંહ બાદલ, બાળાસાહેબ ઠાકરે, જ્યોર્જ ફર્નાન્ડિસ, શરદ યાદવ જેવા નેતાઓની દેન છે. આ લોકોએ જે બીજ વાવ્યું હતું, આજે ભારતની જનતાએ વિશ્વાસથી સિંચીને વૃક્ષ બનાવ્યું છે. અમને આવા નેતાઓ પર ગર્વ છે.


એનડીએએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
બીજી બાજુ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ છે. NDA એ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સમર્થક સાંસદોની યાદી સોંપવામાં આવી છે.