અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાયેલું છે. પરંતુ ત્યારબાદ ચોમાસું બેસી જશે અને આ ચોમાસામાં તમને જો આહલાદક અને રમણીય સ્થળો પર ફરવા જવાનું મન થતું હોય તો અમે તમારા માટે એકદમ બેસ્ટ એક જગ્યા લઈને આવ્યા છે. આ એક એવી જગ્યા છે જ્યાં ચોમાસામાં જવાથી તમને ખુબ જ આનંદનો અનુભવ થશે. તો ચાલો તૈયાર થઈ જાઓ આ જગ્યા વિશે જાણવા માટે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસા માટે બેસ્ટ
અમે જે જગ્યા વિશે વાત કરીએ છે તે છે પોળોનું જંગલ (Polo Forest). પોળો એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણાવ નદી કિનારે આવેલું સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ મળી આવેલા છે. મંદિરોના બાંધકામમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળોના નામની વાત કરીએ તો આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ પ્રવેશદ્વાર એમ થાય છે. ભૌગોલિક દ્રષ્ટિથી જોઈએ તો પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. 


(તસવીર- ગુજરાત ટુરિઝમ)


પોળોનું જંગલ સાંબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી દૂર અને અમદાવાદથી 150 કિમી દૂર છે. તથા રાજસ્થાનના ઉદયપુરથી 120 કિમી દૂર છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જો કે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને કેટલાક નાના આડબંધ પણ બાંધવામાં આવેલા છે. 



જોવાલાયક સ્થળો
આ સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા મળશે. ગુજરાત સરકાર દવારા પોળો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે. 



થોડા સમય પહેલાની વાત કરીએ તો આ જગ્યાએ પર્યટકોમાં એટલી બધી પ્રચલિત નહતી પરંતુ તેની સુંદરતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરનારા કેટલાક લોકોના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં મુલાકાતીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. 



પોળોના જંગલોની વાત કરીએ તો ખાસ કરીને અહીં વીડિયોગ્રાફી, શુટિંગ, ફોટોગ્રાફી કે વનડે કે બે દિવસની પિકનિક માટે લોકો વધુ આવે છે. આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકી યુગના મંદિરો ચે. તથા વણજ ડેમ અને ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઈટ આવેલા છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ગુપ્ત ગંગા એટલે કે પાણીનો સ્ત્રોત પણ વહે છે જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.  



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube