નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સાંજે એક સર્વદળીય બેઠક યોજી હતી. કોંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને શિરોમણી અકાલી દળ સહિત કેટલાક રાજકીય પક્ષોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ આ બેઠકમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ, બીજૂ જનતા દળ, વાઈએસઆર કોંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી, જનતા દળ (યૂનાઇટેડ), જનતા દળ (સેક્યુલર), તેલંગણા રાષ્ટ્રીય સમિતિ, તમકલ મનીલા કોંગ્રે, બીએસપી સહિત કેટલીક પાર્ટીઓના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સ્થિતિ બાકી દુનિયાથી સારી
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતમાં એક નાનુ ભાષણ આપતા ઉલ્લેખ કર્યો કે, કોવિડનો મજબૂતી સાથે સામનો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના સંદર્ભમાં ભારતની સ્થિતિ બાકી દુનિયા કરતા સારી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાજ્યોએ રાજનીતિથી ઉપર ઉઠી એક ટીમના રૂપમાં કામ કરવું જોઈએ. લોકસભાના એક સભ્યએ કહ્યુ કે, આજની બેઠકમાં વિશેષ રૂપથી કોવિડની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા થઈ છે. 


આ પણ વાંચોઃ ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન, ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ


દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ પણ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બેઠકમાં પીએમ મોદી સિવાય રાજ્યસભામાં ગૃહના નેતા પીયુષ ગોયલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા હાજર હતા. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા પત્રકારો સાથે ચર્ચામાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે કોવિડ-19 સહિત બધા મુદ્દા પર આ સત્ર સાર્થક ચર્ચા માટે સમર્પિત હોવુ જોઈએ કારણ કે જનતા ઘણા મુદ્દા પર જવાબ ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તે માટે સરકાર તૈયાર છે. 


પીએમ મોદીએ બંને ગૃહના નેતાઓને મંગળવારની સાંજે થોડો સમય કાઢવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે મહામારી સંબંધમાં વિસ્તૃત જાણકારી તમને આપવા ઈચ્છે છે. કોંગ્રેસે પહેલા કહી દીધુ હતુ કે તે કોવિડ-19 પર બધી પાર્ટીઓના ગૃહના નેતાઓની સાથે થનારી સરકારની બેઠકમાં સામેલ થશે નહીં. અકાલી દળે પણ આ વાત કહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube