Rajasthan News: મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકારણના જાદુગર ગણાય છે. તેમની રાજકીય સફરમાં ન જાણે કેટલાય પ્રતિસ્પર્ધીઓ તરીકે ઉભર્યા પરંતુ ગેહલોત તેમનો તોડ કાઢી જ લે છે. આ વખતે ગેહલોત સામે સચિન પાઈલટની દાવેદારીનો તોડ કાઢીને પોતાના કોઈ ખાસમખાસને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવાનો પડકાર છે. ગેહલોત સામે પહેલા પણ આ સ્થિતિ આવી ચૂકી છે, પણ તેમાંથી પણ ગેહલોત સરળતાથી બહાર નીકળી ગયા હતા. તે સમયે સીપી જોશી અને રાજેશ પાઈલટ તરફથી તેમને પડકાર મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમય એવો પણ હતો, જ્યારે સીપી જોશી અને અશોક ગેહલોત વચ્ચે બિલકુલ બનતું નહતું. પરંતુ આજે ગેહલોત જોશીને સીએમ બનાવવા માટે રાજી છે. તેઓ જોશી દ્વારા પાઈલટનું પત્તું સાફ કરવાની કોશિશ કરવાનું વિચારી રહ્યા છે. 


ગેહલોત બાદ જોશી રાજસ્થાનમાં કોંગ્રેસના સૌથી કદાવર નેતા ગણાય છે. કદમાં તેઓ ગેહલોતથી જરાય ઉતરતા નથી. જો 14 વર્ષ પહેલાની વાત કરીએ તો 2008માં તેઓ સીએમ પદ માટે મજબૂત દાવેદાર હતા અને પ્રદેશ અધ્યક્ષ પણ. પરંતુ એક મતથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ જોશી સીએમ પદની રેસમાંથી બહાર થઈ ગયા. 


હવે જોશી-ગેહલોત એકબીજાની નીકટ
હાલની સ્થિતિની વાત કરીએ તો જોશી અને ગેહલોત એકબીજાની નીકટ છે. જોશીએ ગેહલોતના પુત્ર વૈભવને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોશીએ જ બળવા સમયે પાઈલટ જૂથના વિધાયકોને અયોગ્યતાની નોટિસ મોકલી હતી. ત્યારબાદ જોશી અને ગેહલોતના સંબંધો મીઠાશભર્યા થતા ગયા. 


ગેહલોતે ક્યારે-ક્યારે કર્યો કમાલ
સચિન પાઈલટ જ નહીં તેમના પિતા રાજેશ પાઈલટ સાથે પણ ગેહલોતનો ટકરાવ થઈ ચૂક્યો છે. પરંતુ ત્યારે પણ બાજી ગેહલોત મારી ગયા હતા. વર્ષ 1993ની વાત છે જ્યારે ગેહલોતના સંસદીય ક્ષેત્ર જોધપુરમાં તત્કાલિન કેન્દ્રીય મંત્રી રાજેશ પાઈલટ પહોંચ્યા હતા. પરંતુ તેમને બોલાવવામાં આવ્યા નહીં. જ્યારે લોકોએ પૂછ્યું કે અમારા સાંસદ ક્યાં છે તો રાજેશ પાઈલટે જવાબમાં કહ્યું કે બિચારા ગેહલોત અહીં ક્યાંક હશે. પરંતુ થોડા સમય બાદ જ ગેહલોતે બાજી પોતાના નામે કરી અને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા. 


શું હશે આગામી ચાલ?
જ્યારે 1998નો સમય આવ્યો તો સીતારામ કેસરી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી હારી ગયા ત્યારબાદ રાજેશ પાઈલટ હાશિયા પર આવી ગયા. ત્યારબાદ સોનિયા ગાંધીએ પણ ગેહલોતનું સમર્થન કર્યું અને રાજેશ પાઈલટ સાઈડલાઈન થઈ ગયા. આમ જોઈએ તો 1998માં રાજેશ પાઈલટ, 2008માં સીપી જોશી અને 2018માં સચિન પાઈલટના પડકાર છતાં ગેહલોત સીએમ ખુરશી પર રહ્યા. હવે બધાની નજર અશોક ગેહલોતના આગામી દાવ પર છે કે સીપી જોશીને કમાન સોંપાશે કે પછી આલાકમાન પાઈલટ પર ભરોસો જતાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube