નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ બુધવાર (4 જુલાઇ)એ નક્કી કરશે કે દિલ્હીના વહીવટી બોસ કોણ છે? દિલ્હી-કેન્દ્ર અધિકાર વિવાદ પર આવતીકાલે કોર્ટના 5 જજોની બંધારણિય પીઠનો નિર્ણય આવશે. તેનાથી નક્કી થઈ જશે કે દિલ્હીનું કામકાજ ચલાવવામાં રાજ્ય સરકાર અને એલજીની શું ભૂમિકા છે? આ મામલામાં બંધારણિય પીઠે ગત વર્ષે 6 ડિસેમ્બરે સુનાવણી પુરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 2016ના દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં કેન્દ્રના પ્રતિનિધિ ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણયને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 


લગભગ 15 દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ નજરમાં ઉપરાજ્યપાલ જ દિલ્હીના પ્રમુખ જોવા મળે છે. પરંતુ રોજબરોજના કામમાં તેમની દખલગીરીથી મુશ્કેલી આવી શકે છે. દિલ્હીના લોકોના હિતમાં રાજ્ય સરકાર અને એલજીએ મળીને કામ કરવું જોઈએ. 


દિલ્હી સરકારની દલીલ હતી કે દિલ્હીનો દરજ્જો બીજા કેન્દ્રશાસિત પ્રદેશથી અલગ છે. બંધારણ અનુચ્છેદ 239 AA હેઠળ દિલ્હીમાં વિધાનસભાની જોગવાઇ છે. અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી એક સરકારની રચના થાઈ છે. તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. 


જવાબમાં કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, જે અનુચ્છેડ 239 AAનો હવાલો દિલ્હી સરકાર આપી રહી છે, તેમાં પણ એલજીનો દરજ્જો રાજ્ય સરકારથી ઉપર માનવામાં આવ્યો છે. મંત્રીમંડળ અને ઉપરાજ્યપાલમાં કોઈ વિષય પર મતભેદ થવા પર તેને રાષ્ટ્રપતિની પાસે મોકલવાની વાત કરવામાં આવી છે. પરંતુ તે વાત પણ લખેલી છે કે રાષ્ટ્રપતિનો નિર્ણય આવે ત્યાં સુધી રાજ્યપાલનો નિર્ણય માનવામાં આવશે. 


દિલ્હી સરકારે સુનાવણી દરમિયાન એલજીની પાસે જરૂરી ફાઇલો પેન્ડિંગ હોવાનો પણ હવાલો આપ્યો. કોર્ટે કહ્યું કે, જો આમ હોય તો દિલ્હીના હિતમાં નથી. પરંતુ કેન્દ્ર સરકારના વકીલે દાવો કર્યો કે ફાઇલોને અટકાવવાની ફરિયાદ યોગ્ય નથી. એલજી સચિવાયલ જરૂરી ફાઇલોનો ઝડપથી નિકાલ કરે છે.