નવી દિલ્હી:  બિહારમાં આજે સવારે મોટો રેલ અકસ્માત થયો છે. વૈશાલીમાં જોગબનીથી આનંદવિહાર આવી રહેલી 12487 સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. 11 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર છે. મોટી સંખ્યામાં ટ્રેનના ડબ્બામાં ફસાયેલા મુસાફરોને કાઢવામાં આવ્યાં છે. હજુ પણ અનેક મુસાફરો ડબ્બામાં ફસાયેલા છે. તેમને હેમખેમ બહાર કાઢવા માટે બચાવકાર્ય ચાલુ છે. રેલવે દ્વારા સહાય પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ મૃતકના પરિજનોને 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તના પરિવારને એક લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે. તમામ મેડિકલ ખર્ચ રેલવે દ્વારા ભોગવવામાં આવશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાસ્થળ પર એનડીઆરએફ અને અન્ય બચાવદળો પહોંચી ગયા છે. આ સાથે જ રેલવેના મોટા ઓફિસરો અને પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માત કયા કારણે સર્જાયો તે હજુ જાણવા મળ્યું નથી. અકસ્માતની તપાસ સીઆરએસ પૂર્વ મંડળ લતીફ ખાનને સોંપવામાં આવી છે. 



રેલવેએ આ અકસ્માત બાદ લોકો માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરી દીધા છે. જેમાં સોનપુરનો 06158221645, હાજીપુરનો 06224272230 અને બરૌનીનો નંબર 0627923222 છે. પટણાના નંબર  06122202290, 06122202291, 06122202292, 06122213234 છે.  આ અકસ્માત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ સાથે જ તેમણે પ્રશાસનને તમામ પ્રકારની તત્કાળ મદદ ઉપલબ્ધ  કરાવવાના નિર્દેશ આપ્યા છે. 


આ બાજુ એડિશનલ ડાઈરેક્ટર જનરલ પીઆર(રેલ) સ્મિતા વત્સ શર્માએ કહ્યું કે હાજના સમયમાં અમે રાહત અને બચાવ કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યાં છીએ. રેલવે એક્સિડન્ડ વેન પણ ડોક્ટરો સાથે ઘટનાસ્થળે હાજર છે. એનડીઆરએફની બે ટીમો પણ રાહતકાર્યમાં લાગી છે. 



(એડિશનલ ડાઈરેક્ટર જનરલ પીઆર(રેલ) સ્મિતા વત્સ શર્મા)


આ અકસ્માત હાજીપુર-શાહપુર પટોરી રેલ ખંડ પર સહદેઈ બુઝુર્ગ સ્ટેશન પાસે વહેલી સવારે લગભગ 3.58 વાગે થયો. ટ્રેન જોગબનીથી આનંદવિહાર જઈ રહી હતી. 9 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. સીમાંચલ એક્સપ્રેસના 3 ડબ્બા આખા પલટી ગયા છે. સોનપુર રેલ મંડલના અધિકારી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. આ આથે જ 6 મેડિકલ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 



ટ્રેનની જે બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે તેમાં એસ8, એસ9, એસ10 અને એસી કોચ બી3 સામેલ છે. કહેવાય છે કે ઘટના બાદ તરત સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધા. બોગીઓમાંથી કેટલાક મુસાફરો બહાર કાઢી લેવાયા છે. અત્રે જણાવવાનું કે આ અકસ્માત એવા સમયે થયો જ્યારે મુસાફરો ભર ઊંઘમાં સૂતા હતાં. અચાનક અકસ્માત થતા કોઈને પોતાની જાતને સંભાળવાની તક જ નથી મળી.