પટણા: પટણા સાહિબ મતવિસ્તારથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ પાર્ટી લાઈનથી હટીને એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા મંગળવારે કહ્યું કે તેઓ ભલે ભાજપમાં છે પંરતુ તે પહેલા તેઓ ભારતીય જનતાના છે. પટણા સાહિબમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 114મી જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં શત્રુઘ્ને નોટબંધી, જીએસટી અને રાફીલ ડીલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યું કે 'અફસોસ છે કે તેમની પાર્ટી વન મેન શો, ટુ મેન આર્મી બનીને રહી ગઈ છે.' તેમણે કહ્યું કે તેઓ ભલે ભાજપમાં છે પરંતુ પહેલા ભારતીય જનતાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ સાચુ બોલનારા દેશદ્રોહી ગણાય છે-યશવંત સિન્હા
આ વર્ષની શરૂઆતમાં પોતાને ભાજપને અલગ કરવાની જાહેરાત કરી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે આજકાલ સાચુ બોલનારા કોઈ પણ વ્યક્તિને 'દેશદ્રોહી' કહેવાય છે. તેમણે કહ્યું કે જો સત્યનો સાથ આપવો અને ખોટાને ખોટું કહેવું ખોટું છે તો હું ગર્વથી કહું છુ કે દેશદ્રોહીઓની સૂચિમાં હું અને શત્રુઘ્ન સિન્હા સંયુક્ત રીતે પહેલા નંબરે આવીએ છીએ. 



શત્રુઘ્ને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે હાલના શાસનમાં કોઈ પણ ત્રણ મંત્રીઓના નામ પૂછો. તેઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ લેશે. ત્યારબાદ અમિત શાહજી કે જેઓ મંત્રી નથી અને ત્યારબાદ તેઓ અટકવા લાગે છે. 


બંને નેતાઓએ કેન્દ્રની યોજનાઓ પર  કર્યા હુમલા
શત્રુઘ્ને આરોપ લગાવ્યો કે નોટબંધીના આઘાતમાંથી લોકો બહાર પણ નહતાં આવ્યાં અને ત્યાં તો કપરાં જીએસટીને લાગુ કરી દેવાયું જે પડતા પર પાટું જેવું સાબિત થયું. ડીજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા. અરે આ બધાનો એક જ અર્થ છે મેડ ઈન ચાઈના. આજે તો એ જ વેચાય છે. વાતો કર્યા કરો. 



પોતાના પર લગાવવામાં આવેલા તે આરોપ કે જેમાં કહેવાય છે કે કેન્દ્રમાં મંત્રી ન બનાવવાના કારણે તેઓ વિરુદ્ધમાં બોલતા રહે છે, શત્રુઘ્ને કહ્યું કે તેઓ બહાના બનાવ્યાં કરે છે. મને કશું જોઈતું નથી. તેમણે કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત છે કે ખેડૂતો સાથે બર્બરતા કરવામાં આવી રહી છે. તેમના પર લાઠીચાર્જ થઈ રહ્યો છે.