નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થયું. તેઓ 81 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. આ અગાઉ તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે કોંગ્રેસ મુખ્યમથકમાં રાખવામાં આવશે. સરકાર તરફથી દિલ્હીમાં 2 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શીલા દીક્ષિત બીમાર હતાં અને શનિવારે સવારે તેમને દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યાં બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. હાલત સુધર્યા બાદ ફરીથી એટેક આવ્યો. સાંજે 3.55 કલાકે તેમનું નિધન થયું. શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને સોનિયા ગાંધી પણ શનિવારે નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. દિલ્હી કોંગ્રેસ અને ભાજપના તમામ મોટા નેતાઓ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. 


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કાયાપલટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાનનો શ્રેય પણ આપ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કરતા કહ્યું કે દીક્ષિતના શહેરના વિકાસમાં યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...