ગોરખપુર: સમાજવાદી સેક્યુલર મોર્ચાના નેતા શિવપાલ સિંહ યાદવે ભાજપમાં જોડાવવાની સંભાવના પર આજે પૂર્ણ વિરામ મૂકી દીધુ. તેમણે કહ્યું કે તેમનો મોરચો મોટા ભાઈ અને સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું સમર્થન કરશે પછી ભલે તે આગામી સંસદની ચૂંટણી કોઈ પણ પક્ષમાંથી લડે. શિવપાલે પત્રકારોને જણાવ્યું કે 'અમે લોકો સેક્યુલર (ધર્મ નિરપેક્ષ) છીએ અને હંમેશાથી ભાજપની વિરુદ્ધ રહ્યાં છીએ. અમે જૂના 'સેક્યુલર' સમાજવાદી છીએ અને ભાજપમાં સામેલ થવાનો સવાલ જ નથી ઊભો થતો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાયમ સિંહના મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડવા અને સમર્થનને લઈને શિવપાલે કહ્યું કે તેઓ જ્યાંથી પણ ચૂંટણી લડશે, અમારું સમર્થન તેમને છે. તેમણે કહ્યું કે જો મૈનપુરીથી તેઓ કોઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડશે તો અમારું તેમને સમર્થન છે. પરંતુ બાકીની બેઠકો પર અમે અમારા ઉમેદવારો ઊભા રાખીશું. તેમણે એમ પણ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે નેતાજી સમાજવાદી સેક્યુલર મોર્ચાની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડે. 


અત્રે જણાવવાનું કે ગત દિવસોમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યે શિવપાલ યાદવને લઈને કહ્યું હતું કે તેઓ ઈચ્છે તો ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તેમણે એ  પણ કહ્યું હતું કે શિવપાલ પોાતની પાર્ટીનો ભાજપમાં વિલય કરી લે. હું તેમનું સ્વાગત કરું છું. જો કે ચૂંટણી પૂર્વે કોઈ પણ પ્રકારના ગઠબંધનની સંભાવનાનો તેમણે ઈન્કાર કર્યો. 


સપા અને બસપા ગઠબંધનને લઈને શિવપાલ યાદવે કહ્યું કે તે તેમની સાથે સંકળાયેલો મામલો નથી. તેનો ફેસલો માયાવતી અને અખિલેશ યાદવે કરવાનો છે. જો કે શિવપાલના મિત્ર અમરસિંહે કહ્યું  કે સમાજવાદી પાર્ટીના પરંપરાગત મતદારો માટે હજુ પણ મુલાયમ સિંહ જ તેમના નેતા છે. આ એવા મતદારો છે કે જે ન તો ભાજપ સાથે જવા તૈયાર છે કે ન તો કોંગ્રેસને મત આપશે. ચૂંટણી માટે માયાવતી નાના નાના રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરવા તૈયાર છે. આવામાં શિવપાલ યાદવ અને માયાવતીએ એકસાથે ચૂંટણી લડવાનું વિચારવું જોઈએ. 


(ઈનપુટ-ભાષા)