નવી દિલ્હી : બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સરદાર પટેલની પ્રતિમા પર ખર્ચ થયેલા રૂપિયાનો ઉલ્લેખ કરતા બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે પોતાની કોલમ ‘રોખઠોક’માં સવાલ ઉઠાવતા લખ્યું કે, સરદારની પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા ધારાશાયી થઈ રહી છે. આવા સમયમાં જનતાની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા આ પ્રતિમા માટે ખર્ચ કરવામાં આવ્યા છે. તેના પર આલોચના શરૂ છે. સરદાર લોહપુરુષ હતા, તે લોખંડ આજે પીધળતું નજર આવી રહ્યું છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, સરદાર પટેલ પ્રખર હિન્દુત્વવાદી ન હતા. હિન્દુ રાષ્ટ્રની સંકલ્પના તેમને સ્વીકાર ન હતી. સરદાર પટેલના અધૂરા કાર્યોને પૂરા કરવા માટે મોદી સરકાર સત્તામાં આવી. સવાલ ઉઠાવતા તેમણે લખ્યું કે, શું એક પણ સમસ્યા યોગ્ય રીતે સોલ્વ થઈ છે ખરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામનામાં આગળ લખ્યું છે કે, આજે દેશની અર્થવ્યવસ્થા દયનીય તથા અસ્થિર થઈ છે. તેથી અનેકવાર એવું સંભળાય છે કે, આજે સરદાર હોત તો હિન્દુસ્તાનની આવી સ્થિતિ દયનીય દેખાઈ ન હોત. શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેએ સરદાર વિશે આવા જ ગૌરવપૂર્ણ શબ્દો સાર્વજનિક રીતે વ્યક્ત કર્યા હતા. સરદાર પટેલનો ઉલ્લેખ લૌહપુરુષના રૂપમાં કરવામાં આવે છે. તે લોખંડ તેમના મનમાં હતું. રાજનીતિક સ્વાર્થ માટે આ લોખંડ ક્યારેય પીઘળતુ ન હતું. આવા સરદારના વિચાર, જે અમલમાં ન લાવી શકાયા, તેવા રાજનેતાઓએ ગુજરાતમાં સરદારની અતિભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે. 


આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અમેરિકા સ્થિત સ્વતંત્રતાની દેવીની પ્રતિમા જેવી જ પટેલની એકાત્મકતાની અર્થાત સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાઈ છે. તેના પર જે 3 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે, તે આલોચનાનો વિષય બની ગયો છે. કાશ્મીરથી લઈને આતંકવાદીઓ સુધીની એક પણ સમસ્યા સોલ્વ થઈ નથી. સરદાર પટેલના અધૂરા કાર્યોને પૂરા કરવા માટે મોદીની સરકાર સત્તામાં આવી, પરંતુ શું એક પણ સમસ્યા યોગ્ય રીતે સોલ્વ થઈ ખરી. ચારેતરફ ગરબડી અને કૌભાંડો જ છે. આ જ લોકોએ સરદારની પ્રતિમાનું નિર્માણ કર્યું છએ. સરદાર પટેલની ભવ્ય પ્રતિમા બનાવવાની હતી, પરંતુ તેના માટે જે રૂપિયા એકઠા કરાયા છે, તે ગરીબોના ખિસ્સા ખાલી કરીને લેવાયા છે. બ્રિટન જેવા રાષ્ટ્રએ મોદી સરકારની મજાક ઉડાવી છે. 


કોલમમાં આગળ લખાયું છે કે, મહિલાઓની સમસ્યા, શિક્ષા, પર્યાવરણ વગેરે ક્ષેત્રોમાં વિકાસ કાર્ય કરવા માટે હિન્દુસ્તાને બ્રિટન પાસેથી 100 અરબ રૂપિયાનું દેવુ લીધું છે. તેમાં 32 અરબ રૂપિયા સરદારની પ્રતિમાના નિર્માણ માટે ખર્ચ કરી દીધા. તમારી પાસે રૂપિયાનું અજિર્ણ થઈ ગયું છે. તેથી ગરીબોના રૂપિયા પ્રતિમા માટે કેમ ખર્ચી રહ્યા છો. આવો સવાલ બ્રિટનના પ્રમુખ રાજનેતા પીટન બોને પૂછ્યું છે. 


મૂર્તિ નિર્માણમાં લાગેલા રૂપિયા પર ટિપ્પણી કરતા લેખમાં લખાયું છે કે, આ ભવ્ય પ્રતિમા માટે સરકારે રૂપિયાની અછત ન સર્જાવા દીધી. પરંતુ આ રૂપિયા ગુજરાત સરકારના ખિસ્સામાંથી નથી આવ્યા. શેષ બચેલા રૂપિયા પણ જનતાના કામ માટે જ ઉપયોગમાં લેવાના હતા. અનેક મોટી કંપનીઓ અને સાર્વજનિક ઉપક્રમ પોતાના લાભની બે ટકા રકમ રાખે છે. એટલે કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યોજના માટે આરક્ષિત રાખે છે. એટલે કે, આ રૂપિયાનો ઉપયોગ સમાજ કલ્યાણના કામો માટે લેવાય છે. પરંતુ ગત બે વર્ષોમાં સીએસઆર યોજના અંતરગ્ત સામાજિક સંસ્થાઓને એક રૂપિયો પણ નથી મળ્યો. અનેક દિવ્યાંગ સ્કૂલો બંધ પડી છે. આ રૂપિયા સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાયા છે. 



લેખમાં આગળ લખાયું છે કે, આ પ્રતિમા કાર્ય માટે પંડિત નહેરુ દ્વારા સ્થાપિત સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ બેશુમાર રૂપિયા આપ્યા છે. 


  • ઈન્ડિયન ઓઈલ 900 કરોડ

  • ઓએનજીસી - 500 કરોડ

  • ભારત પેટ્રોલિયમ - 450 કરોડ

  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ - 250 કરોડ

  • પાવર ગ્રિડ - 125 કરોડ

  • ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન - 100 કરોડ

  • પેટ્રોનેટ ઈન્ડિયા - 50 કરોડ

  • બામર લોરી - 6 કરોડ