અમૃતસરઃ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શનિવારે સાંજે અપમાનનો પ્રયાસ કરવાની ઘટનાની તપાસ વિશેષ તપાસ દળ (SIT) કરશે. પંજાબ સરકારે રવિવારે એસઆઈટીની રચના કરી દીધી છે. ઘટનાના પરિચિત લોકોએ જણાવ્યું કે એસઆઈટીની આગેવાની અમૃતસર પોલીસના ડેપ્યુટી કમિશનર (કાયદો અને વ્યવસ્થા) કરશે. એસઆઈટી બે દિવસમાં ઘટના પર પોતાનો રિપોર્ટ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં શનિવારે ગોલ્ડન ટેમ્પલમાં તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક વ્યક્તિ સચ્ચખંડની અંદર માથુ ટેકવાના સ્થાન પર લાગેલી રેલિંગને કુદીને શ્રી ગુરૂ ગ્રંથ સાહિબની નજીક પહોંચી ગયો હતો, જેને તત્કાલ ઝડપી લેવામાં આવ્યો હતો. સેવક વ્યક્તિને પકડીને પોલીસના હવાલે કરવા માટે જઈ રહ્યાં હતા, ત્યારે લોકોના ટોળાએ તેના પર હુમલો કરી દરબાર સાહિબ પરિસરમાં તેની હત્યા કરી દીધી હતી. 


ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું કે યુવકે શ્રી ગુરૂ ગ્રંથ સાહિબની સામે રાખેલી તલવારને ઉઠાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ આ મામલે કેન્દ્રીય એજન્સી પાસે તપાસની માંગ કરી રહી છે. 


આ પણ વાંચોઃ ગોવામાં PM મદીએ અનેક વિકાસ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- અહીં આવીને ખુશ છું  


પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા, જેમણે રવિવારે અમૃતસરમાં પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગોલ્ડન ટેમ્પલમાં કથિત અપમાનના પ્રયાસની નિંદા કરી અને કહ્યુ કે, આ મામલામાં તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે. રંધાવાએ કહ્યુ કે, અમૃતસરની ઘટનાના આરોપીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. 


અધિકારીઓ સાથે બેઠક બાદ રંધાવાએ કહ્યુ કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એવું લાગે છે કે આરોપી વ્યક્તિ અપવિત્ર કરવાના વિચારની સાથે અહીં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, તે વ્યક્તિ આઠથી નવ કલાક સુધી હતો. હજુ સુધી તેની ઓળખ થઈ નથી. અમે તપાસ કરીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube