Mosque Survey demand in Supreme Court: દેશમાં હાલ ચારેબાજુથી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે વિશે વાત ચાલી રહી છે, ત્યારબાદ દેશની તમામ જૂની મસ્જિદોનો સર્વે કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જ્ઞાનવાપી, મથુરા અને કુતુબમિનાર સંકુલમાં હાજર મસ્જિદોને લઈને કાયદાકીય લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સો વર્ષથી વધુ જૂની મસ્જિદોના સર્વેની માંગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્ત ઋષિ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટે ASI અથવા અન્ય કોઈ સરકારી એજન્સીને આવી મસ્જિદોનો સર્વે કરવા માટે નિર્દેશ આપવો જોઈએ. સર્વેની પ્રક્રિયાને ગોપનીય રાખવી જોઈએ અને જ્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી આ જૂની મસ્જિદોમાં વજુ તળાવનો ઉપયોગ પણ હાલ પૂરતો પ્રતિબંધિત મૂકવો જોઈએ. વઝુ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.


પિટિશનમાં ગોપનીય સર્વેની માંગ
અરજીમાં સુપ્રીમ કોર્ટને માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને આવી તમામ મસ્જિદોનો ASI ગોપનીય સર્વે કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે. આ સમય દરમિયાન અન્ય કોઈને પણ આવી જગ્યાઓ પર દખલગીરી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી પરિસરમાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ તળાવનો ઉપયોગ મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરતા પહેલા વઝુ માટે કરતા હતા. અહીં નમાઝ અદા કરતા પહેલા હાથ-પગ ધોવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે આ કૃત્ય હિન્દુ ધર્મ અને દેવતાઓમાં આસ્થા ધરાવતા અસંખ્ય ભક્તોની ભાવનાઓનું અપમાન છે. અરજીમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અન્ય મસ્જિદોમાં પણ આવું થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે આ તમામ સ્થળોનો ગોપનીય સર્વેક્ષણ થવો જોઈએ, જેથી જો કોઈ અન્ય ધર્મના ધાર્મિક અવશેષો મળે તો તેને સુરક્ષિત રાખવામાં આવે.


SCમાં કરાયેલી અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એ વાત સર્વવિદિત છે કે મધ્યયુગ દરમિયાન વિદેશી આક્રમણકારોએ હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોના અનેક ધાર્મિક મંદિરો અને સ્થળોનો નાશ કર્યો. આવી સ્થિતિમાં હુમલા બાદ મસ્જિદમાં ફેરવાઈ ગયેલા આ ધાર્મિક સ્થળોમાં હજુ પણ દેવી-દેવતાઓની મૂર્તિઓ, અન્ય ધાર્મિક અવશેષો હાજરાહજૂર હોવાની પૂરેપૂરી સંભાવના છે. આવી સ્થિતિમાં સામાજિક સમરસતા માટે જરૂરી છે કે આ ધાર્મિક પ્રતીકોનું સન્માન સાથે જતન કરવામાં આવે જેથી કરીને અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube