નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજનું 67 વર્ષે દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજ છેલ્લા ઘણા દિવસથી બિમાર હતા. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યા પછી હોસ્પિટલ લઈ જવાયા હતા. એઈમ્સ દ્વારા રાત્રે 11.18 કલાકે સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરાઈ હતી. સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ટૂંક સમયમાં જ એઈમ્સ પહોંચવાના છે. આ અગાઉ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એઈમ્સ પહોંચી ચૂક્યા છે. મોદી સરકારનું લગભગ આખું મંત્રીમંડળ એઈમ્સ પહોંચી ચૂક્યું છે. સુષમા સ્વરાજના સમયે વિદેશ સચિવ રહેલા અને વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અહીં પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ એઈમ્સ આવી પહોંચ્યા છે. 


કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાએ જણાવ્યું કે, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતેથી સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયા છે. ધવલદીપ બિલ્ડિંગ, જંતર-મંતરની સામે આવેલા તેમના નિવાસસ્થાને સવારે 12.00 કલાક સુધી તેમનો પાર્થિવ દેહ રહેશે. બપોરે 12.00 કલાકે તેમના પાર્થિવ દેહને નવી દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. અહીં, બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી તેમનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર પછી બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમયાત્રા નિકળશે અને પછી દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


સુષમા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ ભારતનાં બીજા મહિલા નેતા હતા. 26 મે, 2014થી 30 મે, 2019 સુધી તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી પદે રહ્યા હતા. તેઓ સાંસદ તરીકે 7 વખત ચૂંટાયાં હતાં અને વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. 


વર્ષ 1977માં માત્ર 25 વર્ષની વયે તેઓ હરિયાણાના સૌથી યુવાન મંત્રી બન્યાં હતાં. તેઓ 13 ઓક્ટોબર, 1998થી 3 ડિસેમ્બર, 1998 સુધી દિલ્હીના 5મા મુખ્યમંત્રી પણ રહ્યાં હતાં. 2014માં સુષમા સ્વરાજે મધ્યપ્રદેશના વિદિશાથી બીજી વખતની ચૂંટણી 4 લાખ વોટના માર્જિથી જીતી હતી.       


સુષમા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1953ના રોજ પંજાબના અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. તેઓ 67 વર્ષનાં હતાં. 


લોકસભામાં કલમ-370 નાબૂદ થવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 પાસ થવા અંગે સુષમા સ્વરાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી કરેલી ટ્વીટ અંતિમ ટ્વીટ બની હતી. તેમણે લખ્યું હતું કે, "પ્રધાનમંત્રીજી, આપકા હાર્દિક અભિનંદન. મૈં અપને જીવન મેં ઈસ દિન દેખને કી પ્રતીક્ષા કર રહી થી."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....