શ્રીનગર: હોળીના તહેવારે પણ આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યાં છે. આતંકીઓએ આજે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. બંને ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. હુમલાખોરોની શોધ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો...માલ્યા કેસમાં થઈ હતી તે ભૂલ નહીં દોહરાવાય, 'જડબેસલાક' પ્લાનિંગથી નીરવ મોદીને ભારત લવાશે 


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોરના મુખ્ય ચોક પર આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં ડાંગીવાચા પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસકર્મીઓને મામૂલી ઈજાઓ થઈ છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંધી કરી છે અને સર્ચ અભિયાન શરૂ કર્યું છે. 


અત્રે જણાવવાનું કે બુધવારે ભાગલાવાદીઓ તરફથી એક યુવકના મોતના વિરોધમાં બંધનું એલાન અપાયું હતું જેનાથી કાશ્મીર ઘાટીમાં જનજીવન પ્રભાવિત રહ્યું હતું. યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરાથી ધરપકડ  કરાયા બાદ શ્રીનગરમાં પોલીસ કસ્ટડીમાં રિઝવાન અસદ પંડિત (28)નું મોત થયું હતું. યુવક એક ખાનગી શાળામાં શિક્ષક હતો. અધિકારીઓએ સીઆરપીસીની કમલ 176 હેઠળ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. 


લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...