નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સતત બગડતા જતા હાલત બાદ હવે કેન્દ્ર સરકારે સિઝ ફાયરને ખતમ કરવાની જાહેરાત કરી છે. રમજાન પહેલા શાંતિની અપીલ કરતા કેન્દ્ર સરકારે ઘાટીમાં સિઝફાયરની જાહેરાત કરી હતી. રાજ્ય સરકરા અને વિપક્ષી નેશનલ કોન્ફરન્સે તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ ત્યારબાદ પણ ઘાટીમાં ખાસ સુધારો થયો નહીં. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ ચાલુ જ રહ્યું. બીએસએફના જવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં. પત્રકાર શુજાત બુખારીની હત્યા થઈ. ઈદના દિવસે પણ શાંતિ ડહોળાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઘાટીમાં સિઝફાયરને આગળ વધારશે નહીં. જો કે રાજ્ય સરકારે કહ્યું કે આ સિઝફાયરનું ઘાટીના લોકોએ સ્વાગત કર્યું છે. તેના સારા પરિણામ જોવા મળ્યાં. આ અગાઉ પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સિઝફાયરને ઈદ બાદ પણ આગળ વધારવામાં આવશે. પરંતુ છેલ્લા એક સપ્તાહના હાલાત જોતા સરકાર પર ખુબ દબાણ વધી ગયું હતું.


એક દિવસ પહેલા એટલે કે શનિવારે 16 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે 17 જૂનના રોજ આ અંગે જાહેરાત કરાશે. રવિવારે તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સિઝફાયર ખતમ કરવાની જાહેરાત કરી. તેમણે સુરક્ષાદળોને આદેશ આપ્યો કે ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરો.


રાજનાથ સિંહે આ એલાન કરતા કહ્યું કે ઘાટીમાં શાંતિ માટે અમે આ જાહેરાત કરી હતી. રમજાનના પવિત્ર મહિનામાં લોકોને તકલીફ ન થાય તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. હવે સુરક્ષાદળોને કહી દેવાયું છે કે આતંકીઓ વિરુદ્ધ તેમણે જે પણ કાર્યવાહી કરવી હોય તે કરે. સુરક્ષા દળો આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરે. સરકાર ઘાટીમાં શાંતિ માટેના પ્રયત્નો પણ જારી રાખશે.