નવી દિલ્લીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે પરંતુ, આમ આદમી પાર્ટીની રાજનીતિ તિહાડ જેલની આસપાસ કેન્દ્રીત થઈ રહી છે. જી હાં, દેશના તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ, આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલને લઈને ચિંતામાં વ્યાકુળ બની રહ્યા છે. દિલ્લીની તિહાડ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે મારામારીનો દાવો કરીને આપ નેતાઓ કેજરીવાલના જીવને જોખમ હોવાનું જણાવી રહ્યા છે. જેને લઈને હવે આપ વિરોધ પ્રદર્શન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 માર્ચના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડને 1 મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. પરંતુ, તેમની ધરપકડ બાદ રાજનીતિ હજુ પણ થમી નથી રહી.


અરવિંદ કેજરીવાલની ધરપકડના 1 મહિનાથી વધુના સમય બાદ પણ આપ નેતાઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.. ક્યારેક ઈન્સુલિનના નામ પર તો ક્યાંક કેજરીવાલની હત્યાના ષડયંત્રના નામ પર. જી હાં, હવે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે દાવો કર્યો છેકે, અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સંજયસિંહે ઈન્સુલિનને લઈને પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, છેલ્લાં 23 દિવસ સુધી ઈન્સુલિન આપવામાં ન આવે તો વ્યક્તિના જીવ પર પણ જોખમ આવે છે. આ ષડયંત્ર નથી તો બીજી શું છે.


આમ આદમી પાર્ટીએ એક તરફ અરવિંદ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર થતું હોવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ લોકસભા ચૂંટણી માટે નવું કેમ્પેન પણ લોન્ચ કર્યું. આ કેમ્પેનની થીમ જેલનો જવાબ મતથી રાખવામાં આવી છે. કેમ્પેન સોંગ લોન્ચની સાથે ગુરુવારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દિલ્લીના તમામ મેટ્રો સ્ટેશન બહાર કેજરીવાલના સમર્થનમાં આપના કાર્યકરો ઉમટ્યા હતા અને ઉપરાજ્યપાલ અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.