નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ જે પ્રકારે પાકિસ્તાનમાં 80 કિમી અંદર ઘુસી જઈને વહેલી પરોઢે હુમલાને અંજામ આપ્યો તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કરાયું હતું અને જો પાકિસ્તાન વળતો જવાબ આપે તો તેનો સામનો કરવાની પણ ભારતીય સેનાએ સંપૂર્ણ તૈયારી કરીને રાખી હતી. આ માટે હુમલો કરવા ગયેલા 12 મિરાજ-2000 વિમાન ઉપરાંત સુખોઈ-30 યુદ્ધ વિમાન, હવામાં જ ઈંધણ ભરી આપે તેવું એક વિમાન અને એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ધરાવતા બે વિમાન પણ ટીમની સાથે હવામાં ઉડતા રહ્યા હતા અને હુમલો કરવા ગયેલી ટીમને સંપૂર્ણ મદદ પૂરી પાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી સૂત્રએ જણાવ્યું કે, "રાષ્ટ્રુય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ભારતીય વાયુસેનાના વડા બીએસ ધનોઆએ 25 ફેબ્રુઆરીની આખી રાત અને 26 ફેબ્રુઆરીની સવાર સુધી સમગ્ર ઓપરેશન પરનજર રાખી હતી. પાકિસ્તાનના ખયબર પખ્તુવામાં હુમલો કરવા ગયેલા 12 મીરાજ વિમાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી. કારણ કે, ભારતીય વિમાન પાકિસ્તાનની સરહદની 70 થી 80 કિમી અંદર સુધી પ્રવેશવાના હતા. 12 મીરાજ વિમાનને કટોકટીમાં સપોર્ટ આપવા માટે સુખોઈ-30 વિમાનને પણ હલવારા અને બરેલી એરબેઝ પરથી રવાના કરાયા હતા. વાયુસેનાના વડામથકમાં આવેલા એરફોર્સ વોર રૂમમાં બેસીને સમગ્ર હુમલા પર નજર રાખવામાં આવી હતી."


સૂત્રએ જણાવ્યું કે, ડિરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ અમિત દેવ અને તેમની ટીમે ભારતીય વાયુસેનાના વડા મથક ખાતે આવેલા વોર રૂમમાંથી આ સમગ્ર હુમલાને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વાયુસેનાએ આવો જ હુમલો વર્ષ 2002માં એલઓસી પર આવેલા કેલ સેક્ટરમાં કર્યો હતો. 


પીએમ મોદીએ આખી રાત જાગીને જૈશના શિબિરો પર હવાઈ હુમલા પર નજર રાખી હતીઃ સૂત્ર


જાણો સમગ્ર હુમલાનો ઘટનાક્રમ 


  • આગરા અને ગ્વાલિયર એરબેઝ પરથી 12 મીરાજ વિમાને જેવી ઉડાન ભરી કે તેમના સપોર્ટ માટે અન્ય એરબેસ પરથી સુખોઈ-30 ફાઈટર જેટ પણ ઉડી ગયા હતા. 

  • આ હુમલામાં AWAC(એડવાન્સ્ડ વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) ધરાવતા નેત્ર જેટ વિમાને અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

  • પાકિસ્તાની સરહદમાં પ્રવેશ માટે અને તેમને યોગ્ય પોઝિશન મેળવવા માટે ભારતીય રડારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રડારોએ પાકિસ્તાની ફાઈટર વિમાનની તેમના તમામ એરબેઝ પર નજર રાખી હતી અને ભારતીય વિમાનોને આગળ વધવા માટે દિશાસુચન કર્યું હતું. 

  • 12 મિરાજ-2000 ફાઈટર જેટને તેમનું મિશન પૂરું કરવા માટે હવામાં જ ઈંધણ ભરી શકે એવા ઈલ્યુશિન-78 વિમાનને પણ તેમની સાથે જ રાખવામાં આવ્યું હતું. જેથી જો ઈંધણની જરૂર પડે તો મિરાજ ટીમને સપોર્ટ સર્વિસ મળી શકે. 

  • પાકિસ્તાની વાયુસેનાના એફ-16 વિમાનોએ ભારતીય ઘુસણખોરીને ટાળવા માટે ઉડાન ભરી હતી, પરંતુ ભારતી જેટ વિમાનોની ટીમે તેમને હવામાં કરતબો બતાવીને તેમને ગેરમાર્ગે દોર્યા હતા. પાક. વિમાનો હજુ કંઈ સમજે એ પહેલાં જ બીજા ફાઈટર વિમાનોએ ટાર્ગેટ તરફ ઘુસી જઈને તેમનો સફાયો કરી નાખ્યો હતો. 

  • ભારતીય વિમાનો જ્યારે પાકિસ્તાનમાં હુમલો કરીને પાછા આવી ગયા ત્યાર બાદ ભારતીય હવાઈ સુરક્ષા સિસ્ટમ હાઈ એલર્ટ પર હતી અને પાકિસ્તાની વિમાનોની દરેક હિલચાલ પર નજર રાખી રહી હતી. 

  • પાકિસ્તાનનું પ્રથમ રિએક્શન ભારતના પશ્ચિમમાં ગુજરાતમાં આવ્યું હતું, જ્યાં તેની માનવરહિત ડ્રોન વિમાન કચ્છ સરહદમાં પ્રવેશી ગયું હતું, જેને ભારતે ઈઝરાઈલ દ્વારા નિર્મિત 'સ્પાઈડર' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની મદદથી 'ડરબી' મિસાઈલ છોડીને તોડી પાડ્યું હતું. 

  • આ બાજુ પશ્ચિમ સમુદ્રમાં કવાયત કરી રહેલી ભારતીય વાયુસેનાએ પણ તેની TROPEX કવાયતને અધવચ્ચે અટકાવીને તેના જહાજોનો પાકિસ્તાની નૌકાદળ તરફ રવાના કર્યા હતા. આ કારણે પાકિસ્તાની તંત્ર ગુંચવાણમાં મુકાઈ ગયું હતું કે આ શું થઈ રહ્યું છે?

  • આ સાથે જ ભારતીય થલ સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી, જેથી પાકિસ્તાન તરફથી કોઈ પણ હુમલો થાય તો તેનો તાત્કાલિક વળતો જવાબ આપી શકાય. 


સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાને કરેલો આ હવાઈ હુમલો સૌથી સફળ કો-ઓર્ડિનેશન ધરાવતો હુમલો હતો, કેમ કે તેમાં જે લક્ષ્ય છે તે પહેલાથી જ ચિન્હિત કરી દેવાયા હતા અને દુશ્મન ઠેકાણાનો સફાયો કરવાનું એકમાત્ર લક્ષ્ય વાયુસેના પાસે હતું. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક..