અમૃતસર: પંજાબના અમૃતસરમાં જૌડા ફાટકની નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ દુર્ઘટનામાં 60 લોકોનાં મોત થયાં છે, જ્યારે 51 ઘાયલ થયા છે. પંજાબ સરકાર તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખ અને ઘાયલોનો મફત ઈલાજ કરવાની જાહેરાત કરાઈ હતી. વડા પ્રધાન મોદી તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખની સહાય અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનના પાટાની નજીક નજીક રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકો પુતળા દહન જોવામાં મશગુલ હતા અને અચાનક ધસમસતી ટ્રેન આવીને લોકોને કચડીને આગળ જતી રહી હતી.


હાવડા મેલ અને એક ડીએમયુ ટ્રેન એકાએક આવી જતાં આ અકસ્માત સજાર્યો હતો. લોકો ટ્રેક પર ઊભા રહીને પુતળા દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવતાં જોઈને લોકો ટ્રેનથી બચવા માટે બીજા ટ્રેક પર ગયા હતા, પરંતુ ત્યાં પણ સામેથી બીજી ટ્રેન આવી ગઈ હતી.


LIVE TV



પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાવણનું પુતળું સળગાવી દેવાયું હતું. જેના કારણે ફાટકડાનો મોટો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નથી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 


ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું કે, દુર્ઘટના અમૃતસરના મનાવાલા ગેટ નંબર 27 B/W ખાતે સર્જાઈ છે. રાવણના પુતળા દહન કાર્યક્રમને કારણે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યાામાં લોકો હાજર હતા. આ દુર્ઘટના થઈ ત્યારે DMU ટ્રેન નંબર 74943 પસાર થઈ રહી હતી. આ દરમિયાન લોકો ગેટ નંબર 27 તરફ દોડવા લાગ્યા હતા.



આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર પણ હાજર હતાં. જોકે, લોકો એવું કહી રહ્યા છે કે, દુર્ઘટના થયા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ કારણે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાવણનું પુતળું બળી ગયું હતું અને જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે હું કાર્યક્રમ સ્થળેથી નીકળી ગઈ  હતી. લોકો આવી દુર્ઘટના પર રાજકારણ રમી રહ્યા છે તેના અંગે શરમ આવે છે. 



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વીટર પર જણાવ્યું કે, "અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને બહુ મોટો આઘાત લાગ્યો છે. કંપારી છુટી જાય એવી દુર્ઘટના છે.  જેમણે પોતાનાં પરિજનોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે તેમના દુઃખમાં હું સહભાગી છું અને ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાહતકાર્ય કરવા માટે સુચના આપી છે."



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, "પંજાબના અમૃતસરમાં રેલ દુર્ઘટનાના સમાચાર સાંભળીને ઘણું જ દુખ થયું છે. રેલવે અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ-રાહત કાર્યો શરૂ કરી દેવાયા હશે. મૃતકોનાં પરિજનોના દુખમાં ભાગીદાર છું."


કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના સમાચાર જાણી ઘણું જ દુખ પહોંચ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને સાંત્વના પાઠવું છું અને મારી લાગણીઓ તેમની સાથે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત-બચાવ કાર્યમાં જોડાઈ જવા અને દરેક શક્ય મદદ કરવા વિનંતી કરું છું."