લખનઉઃ અયોધ્યામાં મંગળવારે થનારા દીપોત્સવ2018ના આયોજનના તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સરયૂ નદીના કિનારે આ માટે લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેઝર શોમાં રામાયણના અલગ અલગ ભાગને દર્શાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થવા માટે દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમજોંગસુક લખનઉ પહોંચી ગયા છે. તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ખાસ મહેમાન હશે જે તેમના સન્માનમાં રાત્રી ભોજન આપશે. સુકની સાથે તેમના પ્રતિનિધિમંડળનો લખનઉ, અયોધ્યા તથા આગરામાં ભ્રમણનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમ પ્રમાણે સુક મંગળવારે લખનઉથી અયોધ્યા માટે રોડ માર્ગે રવાના થશે જે રાનીહો સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ નવા રાનીહો સ્મારક પાર્કનો શિલાન્યાસ કરશે. દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા, પ્રભુ શ્રીરામ તથા માતા સીતાના સ્વરૂપોના સ્વાગત તથા રામકથા પાર્કમાં આયોજીક કાર્યક્રમ સિવાય નવા ઘાટ તથા રામની સીડી પર આયોજીત આરતી તથા દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમો બાદ સુક લખનઉ પરત ફરશે. 



તેઓ આગામી સાત નવેમ્બરે સવારે વિમાનથી આગરા જશે અને તાજમહેલની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ દક્ષિણ કોરિયા માટે રવાના થશે. સુકની સાથે આવેલા અન્ય વિશિષ્ટ મહેમાનોમાં દક્ષિણ કોરિયાના પર્યટન સંસ્કૃતિ તથા રમતગમત પ્રધાન દો જોંગ હ્વવાન, રાજદૂત શિન વોંગકિલ, ગિમહે સિટીના મેયર હુર સુંગ કોન અને ગિમહે સિટીના કાઉન્સિલના સભાપતિ કિમ હુવાંગ સૂ સામેલ છે.