નવી દિલ્હીઃ દેશી બુલેટ ટ્રેન વંદે ભારતની સાથે સતત બીજા દિવસે દુર્ઘટના થઈ છે. ગુજરાતમાં શુક્રવારે સતત બીજા દિવસે ટ્રેનની પશુ સાથે ટક્કર થઈ છે. ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય ક્ષતી પહોંચી છે. ગાંધીનગરથી મુંબઈ જતા સમયે કંઝારી અને આણંદ સ્ટેસન વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. એક દિવસ પહેલા ટ્રેન મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે ટકરાઈ હતી. ટ્રેનનું સમારકામ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના આણંદ સ્ટેશનની પાસે એક ગાય ટકરાઈ, જેનાથી ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું છે. શુક્રવારની ઘટના બપોરે 3.48 કલાકે થઈ હતી. પશ્ચિમ રેલવાના મુખ્ય જનસંપર્ક અધિકારી સમિત ઠાકુરે તેની પુષ્ટિ કરતા કહ્યુ, ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે બધા યાત્રીકો સુરક્ષિત છે. 


પશુ માલિકો વિરુદ્ધ કેસ
વંદે-ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરૂવારે સવારે ગુજરાતમાં ભેંસોના ટોળા સાથે ટકરાયા બાદ રેલવે સુરક્ષા દળે આ પશુ માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પશ્ચિમ રેલવે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભેંસોની ટક્કર બાદ ક્ષતિગ્રસ્ત ભાગનું  સમારકામ મુંબઈમાં કરી દેવામાં આવ્યું છે. દુર્ઘટનામાં ચાર ભેંસના મોત થયા હતા. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા (અમદાવાદ મંડળ) જિતેન્દ્ર કુમાર જયંતે કહ્યુ- આરપીએફે અમદાવાદમાં વટવા અને મણિનગર રેલવે સ્ટેશનો વચ્ચે ભારત ટ્રેનના રસ્તામાં આવનાર ભેંસોના અજાણ્યા માલિકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 


ક્ષમતાથી ઓછી સ્પીડમાં દોડી રહી છે ટ્રેન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે ચાલનારી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અને અપગ્રેડેડ વર્ઝનને 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી દેખાડી સેવાની શરૂઆત કરી હતી. દેશમાં ચાલનારી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ હાલ ટ્રેન 130 કિમીની ઝડપે ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube