ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખંતરો મંડાયો છે. અનેક ચક્રવાત અને વાવાઝોડાનો માર સહન કરનારા આપણા દેશ પર હવે દાનાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તે પરથી તો લાગી રહ્યુ છે કે આ દાના વાવાઝોડું ખૂબ મોટી ખાના-ખરાબી સર્જીને જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે 'દાના'
તેજ પવન સાથે વરસશે ભારે વરસાદ
પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં એલર્ટ


આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' હવે ઓડિસાના દરિયાકાંઠે મંડરાઈ રહ્યું છે. દાનાની અસરના પગલે ઓડિસાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, સાથે જ ભયંકર પવન ફૂંકાવાની પણ શરૂઆતા થઈ છે. 


દાના વાવાઝોડાની દહેશતના પગલે ઓડિસાની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ છે. જેના પગલે બંને રાજ્યોની સરકારોએ યુદ્ધસ્તર પર તૈયારીઓ કરી લીધી છે. ઓડિશાના પુરી, ખુર્દા, ગંજમ અને જગતસિંહપુર જિલ્લામાં મૂશળધાર વરસાદનું અલર્ટ છે. તો સાથે જ બંગાળના દક્ષિણ 24 પરગના અને મિદનાપુર જિલ્લામાં અનરાધાર વરસાદની શક્યતાઓ છે. તો માછીમારોને પણ હાલ દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપી દેવાઈ છે. 


દાનાની દહેશતને જોતા બંને રાજ્યની NDRFની ટીમોને તૈયાર કરી દેવાઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. તો સાથે જ વાવાઝોડા સમયે ભયંકર પવન ફૂંકાવાના શક્યતાઓ છે જેથી અંદાજે 70 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી દેવાયા છે. 


દાના વાવાઝોડાની દહેશતના પગલે લોકોમાં ભારે ફફડાટ છે. સરકારે પણ કોઈ ખાના ખરાબી ન સર્જાઈ તે માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે. કોલકાતા એરપોર્ટમે 12 કલાક માટે બંધ કરી દેવાયું છે. આ સાથે જ અંદાજે 250થી વધુ ફ્લાઈટને કેન્સલ કરી દેવાઈ છે. તો 550થી વધુ ટ્રેનને હાલ પુરતી રદ કરી દેવાઈ છે. એટલું જ નહીં હાલ 25 ઓક્ટોબર સુધી શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે. ઓડિશાના બે પ્રખ્યાત જગન્નાથ મંદિર અને કોણાર્ક ટેમ્પલને બંધ કરી દેવાયા. દાના વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર તો થશે જ, સાથે જ ઝારખંડમાં પણ દાનાની અસર જોવા મળી શકે છે. 


દાના વાવાઝોડું ઓડિશાના ભિતરકનિકા અને ધમારા નજીક ટકરાવાની પુરી શક્યતા છે. ત્યારે આ વાવાઝોડું ઓડિશાના ભદ્રક જિલ્લામાં ખાનાખરાબી સર્જી શકે તેમ છે. રાજ્ય સરકારોએ તો ઝીરો કેઝ્યુલિટીલી થાય તે માટે તમામ તૈયારીઓ કરી છે. પરંતુ આ વાવાઝોડું કેટલી બર્બાદી વેરશે, તે તો વાવાઝોડું પસાર થયા બાદ જ ખબર પડશે...