નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપૂર જિલ્લામાં 20 સપ્ટેમ્બરે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન બે વિદ્યાર્થીઓના મોત પર રાજકારણ ગરમાયું છે. ઉત્તર દિનાજપુરના ભાજપ અધ્યક્ષ શંકર ચક્રવર્તીએ રવિવારે એક જનસભામાં કહ્યું હતું કે, લોકોએ આ જંગલીપણાનો બદલો લેવો જોઇએ અને પોલીસને ઝાડથી બાંધી દેવા જોઇએ. તેમના આ નિવેદન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ચક્રવર્તીએ જનસભામાં કહ્યું હતું કે, ‘‘પોલીસ જો તમારી પાસે આવે છે તો તેમને ઝાડથી બાંધી દેવા. જો તેઓ તરસ્યા હોય અને તમારી પાસે પાણી માંગે તો તેમને પાણી ના આપો, તેમની જગ્યાએ કુતરાને પાણી આપવું. જો રસ્તા પર કોઇ પોલીસ ઘાયલ મળે તો તેની જગ્યાએ ઘાયલ પશુઓને હોસ્પિટલ લઇ જવાના. પોલીસને આ વિસ્તારમાં ઘૂસવા દેવા નહીં. તેમનો સામાજિક બહિષ્કાર કરો. લાકડી-ડંડા તૈયાર રાખો.’’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે 26 સપ્ટેમ્બરે કર્યું બંધનું એલાન
ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર તૃણમૂલ કોંગ્રેસએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા 26 સપ્ટેમ્બરે કરવામાં આવેલા બંધના એલાનને નિષ્ફળ કરવામાં આવશે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભગવા દળ ઉત્તર દિનાજપુર જિલ્લામાં ઘર્ષણ દરમિયાન બે વિદ્યાર્થીઓના મોતને લઇ પ્રદેશમાં રાજકીય અશાંતિ ફેલાવવા માંગે છે. ઇસ્લામપુરના દરીભીત ગામમાં રવિવારે જ્યારે પીડિતોના ઘરે સ્થાનિક ધારાસભ્ય કન્હૈયાલાલ અગ્રવાલ અને ગોઆલપોખારના ધારાસભ્ય ગુલામ રબ્બાની પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમનો ઘરાવો કરી ગોળીબારની આ ઘટનામાં સીબીઆઇ તપાસની માંગ કરી જેમાં બે વિદ્યાર્થીઓનું મોત થયું છે. ભાજપ નેતા મુકુલ રોય, લોકેટ ચેટર્જી અને પ્રતાપ બેનર્જી પણ પીડિતના પરિવારોને મળ્યા હતા.



ગામના લોકએ પોલીસને રોક્યા
રાષે ભરાયેલા ગ્રામજનોએ રવિવારે પોલીસને ગામમાં ઘૂસવા પર રોક્યા હતા. ભાજપ અને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, બન્ને બાળકો દરીભીત હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી હતા અને પોલીસ ફાયરિંગમાં તેમનું મોત થયું છે. પરંતુ ઉત્તર દિનાજપુરના પોલીસ અધિકારી સુમિત કુમારે કહ્યું કે પોલીસ તરફથી કોઇ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. એસપીએ જોકે આ સ્વિકાર્યુ હતું કે બન્ને બાળકોનું મોત ગોળી વાગવાથી થયું અને પોલીસ આ ઘટનામાં કોણે ફાયરિંગ કર્યું તેની તપાસ કરી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીલિપ ઘોષએ કહ્યું કે તેમની પાર્ટીની પાસે બંધના એલાન ઉપરાંત કોઇ વિકલ્પ ન હતો.