ઝી બ્યૂરો, અમદાવાદઃ મિત્રો, પ્રેમ પણ એક સંબંધ છે તો વિવાહ પણ એક સંબંધ છે અને જોવા જઈએ તો મિત્રતા પણ એક સંબંધ છે પરંતુ, આ ત્રણેય સંબંધોના માપદંડ જુદા-જુદા હોય છે અને આ માપદંડ સમાજ નક્કી કરે છે. હાલ, વર્તમાન સમયમા ઘણા એવા લોકો છે કે, જે આ ત્રણેય સંબંધોને લઈને હંમેશા મૂંઝવણ અનુભવતા રહેતા હોય છે. એ પાછળનુ કારણ એ છે કે, જે વ્યક્તિ સાથે જેવો સંબંધ તે પ્રમાણે સંબંધોમા લાગણી, માન-સન્માન, વિશ્વાસ, સંવાદ અને ઉમળકાનુ પ્રમાણ પણ જુદુ-જુદુ રહેવાનુ છે. એક જેવી જ લાગણીઓ દરેક સંબંધમા કામ ના આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંબંધો સાચવવા માટે દરેક વ્યક્તિમા કળા હોવુ અત્યંત આવશ્યક છે. આ સંબંધો સાચવવાની કળાને તમે કોઈ નિયમો વડે કે ચિત્ર વડે સમજાવી ના શકો. તમે ફક્ત એનો અનુભવ કરી શકો અથવા તો એની અનુભૂતિ કરી શકો. આ અનુભૂતિના કારણે જ તમને તમામ સંબંધો રહસ્યમય લાગે છે. મનમા ફક્ત એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો હોય છે કે, જો કોઈ વસ્તુને હુ આ રીતે સમજી શકુ છુ તો એ કેમ સમજી ના શકે?


બસ આ પ્રશ્ન જ આપણા સંબંધોને ગૂંચવે છે. એક વાત હમેંશા મનમા ગાંઠ વાળીને રાખવી કે, દરેક સંબંધમા જોડાયેલા જુદા-જુદા લોકોના ઘડતર જુદી-જુદી રીતે થયેલા હોય છે. એક સંબંધમા જોડાયેલા જુદા-જુદા માનસ ધરાવતા લોકો એકબીજા સાથે કશુક કાર્ય પાર પાડવા માટે એકસાથે ભેગા થયા હોય છે. આ બંનેમા સામ્યતા હોય જ તેવુ જરૂરી નથી અને સામ્યતા ના જ હોય તેમ પણ કહી ના શકાય. તો ચાલો આજે આપણે સંબંધો સાચવવા માટે ધ્યાનમા રાખવા જેવી અમુક બાબતોની વાત કરીએ...


1.દરેક સંબંધ માં સામેવાળી વ્યક્તિ દૃષ્ટિ બિંદુને સમજવાની આવડત કેળવવી જોઈએ. તે જે કહે છે અથવા તો જે ઇચ્છે છે, તેની પાછળના વાસ્તવિક કારણો અને હેતુ શુ છે, તે ઓળખવાની સૂઝબૂઝ સંબંધોને વધુ પડતા ગાઢ બનાવે છે.


2.દરેક સંબંધમા સામેવાળી લાગણીને સમજીને તેને વિશેષ મહત્વ આપવું જોઈએ કારણકે, ઘણીવાર સામેવાળી વ્યક્તિ માટે સંબંધમા શેરિંગ ખુબ જ મહત્ત્વનુ હોય. જો તમને સામેવાળા વ્યક્તિની કોઈ બાબતથી સમસ્યા હોય તો સ્પષ્ટપણે તેને જણાવી દો જેમકે, તમને એમની મોટેથી બોલવાની કે વારંવાર જોરથી હસવાની આદત નથી ગમતી તો નિખાલસતાથી જણાવી દો અને તેમની આ આદત દૂર કરવામા તેમની મદદ કરો જેથી તમારા સંબંધો ગાઢ બનશે.


3.ઘણીવાર સંબંધો માં વ્યક્તિ તમારી પાસેથી સહકારની આશા હોય છે. જ્યારે સાચા સંબંધો હોય છે ત્યા માંગ્યા પહેલા જ સહકાર મળી જાય છે. સામેવાળી વ્યક્તિને ક્યા સમયે કઈ જરૂરીયાત છે તે સમજણ જ સંબંધોની ભીનાશ અકબંધ રાખે છે. જ્યારે પાર્ટનર કે સંબંધિત વ્યક્તિનો ખરાબ સમય હોય ત્યારે તમારી તેને તમારી સહાનુભૂતિ નહીં પરંતુ, સંવેદના જોઇએ છે. જો એ વ્યક્તિ માટે તમારો ખભો આંસુ સારવાનું સલામત સ્થળ છે તો તમારો સંબંધ શુદ્ધ સોના જેવો સમજવો.


4.જ્યારે પણ કોઈ વ્યક્તિ તેના વિશે તમારો સ્પષ્ટ અભિપ્રાય માંગે ત્યારે ગોળ-ગોળ, મીઠી-મીઠી વાતો કરવાનો બદલે સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત રાખવી. સંબંધોમાં વિશ્વાસ અત્યંત આવશ્યક છે. સાચા સંબંધોમા ગમે તેવી અંગત વાત કહેવામા પણ ભય ના લાગવો જોઇએ.જો કોઈ વ્યક્તિમા આત્મવિશ્વાસનો અભાવ હોય તો તેમનો ઉત્સાહ વધારી આત્મવિશ્વાસ કેળવવામા સહાયરૂપ બનો.


5.દરેક સંબંધ એવા હોય છે કે, જ્યારે તેમા બધુ જ સીધી લીટીમા ચાલતુ નથી. ક્યારેક એક પક્ષે તો જતુ કરવુ જ પડે છે અને આંખ આડા કાન પણ કરવા પડે છે. સાચા સંબંધોમા કોઈપણ વાત કે વસ્તુને લઈને અડજસ્ટ કરવુ પડે તો અફ્સોસ ના થવો જોઇએ અને સાચા સંબંધોમા ક્યારેય પણ મહેણાં-ટોણાં મારવાની કે ઉપકાર જતાવવાની વૃત્તિ ના હોવી જોઇએ. સંબંધો ટકાવી રાખવા માટે સારા લિસનર બનવુ અત્યંત આવશ્યક છે. સામેવાળી વ્યક્તિની પૂરી વાત સાંભળ્યા વિના તેની સાથે દલીલોમાં ઊતરવું યોગ્ય નથી. તમારી હકારાત્મ્કતા તમારા સંબંધોને વધુ પડતા મજબુત અને ગાઢ બનાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube