નવી દિલ્લીઃ આપણાં જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ સાથે કંઈક સંબંધ જોડાયેલો હોય છે. પરંતુ વાત જ્યારે માતા-પિતાની આવે છે ત્યારે તેમની આગળ બાકીના બધા જ સંબંધો ફિકા પડી જાય છે. બાળકો હંમેશા ખુશ રહે તે માટે તેઓ કેટકેટલા પ્રયત્ન કરે છે. પરંતુ એક સમય એવો પણ આવે છે જ્યારે માતા-પિતા કોઈ કારણોસર બાળકોથી રિસાઈ જાય છે. જેના કારણે બાળકોને શું કરવુ અને શું નહીં તેની સતત ચિંતા રહે છે. તો ચાલો, આજે અમે આપને કેટલીક એવી તરકીબ જણાવીશું જે તમને માતા-પિતાની નારાજગી દૂર કરવામાં મદદ કરશે અને બાળકો સાથેના સંબંધો પણ મજબૂત થશે.
 
માફી માગી લો:
ચોખ્ખી વાત છે, જો તમારાથી તમારા માતા-પિતા નારાજ છે, તો બની શકે છે કે, જાણતા-અજાણતા તમારાથી કોઈ ભૂલ થઈ હોય. એટલા માટે તમારે તમારા માતા-પિતાની માફી માગી લેવી જોઈએ. માફી માગવાથી તમારા માતા-પિતાને સારુ પણ લાગશે અને સમજી પણ જશે કે, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે. બની શકે છે કે, માફી માગવાની સાથે તેઓ તમને માફ પણ કરી દેશે અને તમારા સંબંધો વધુ સારા બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમની વાત માનો:
જ્યારે પણ માતા-પિતા પોતાના બાળકોને કોઈ વાત કહે છે, તો તેની પાછળનો હેતુ તેમને જીવનમાં આગળ કેવી રીતે વધવુ, સારા-ખોટાની ઓળખ કેવી રીતે કરાવવી વગેરે..જેવી વાતો શીખવાડવાનો હોય છે. પરંતુ બાળકો માતા-પિતાની સારી શિખામણને ખોટી માની બેસે છે. જેના કારણે ઘણીવાર માતા-પિતા નારાજ થઈ જાય છે. એટલા માટે માતા-પિતા દ્વારા કહેવામાં આવેલી વાતો જાણવી અને સમજવી બાળકો માટે જરૂરી છે. કારણકે આ વાતોમાં ઘણીવાર તેમના અનુભવનો નિચોડ હોય છે.


તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો:
માતા-પિતા બાળપણથી લઈને મોટા થવા સુધી બાળકોની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. બાળકના એકવાર કહેવા માત્રથી માતા-પિતા તેના માટે જે-તે માગેલી વસ્તુ લાવી આપે છે. પરંતુ માતા-પિતા જ્યારે વૃદ્ધ થાય છે, તો એવામાં બાળકોની ફરજ બને છે કે, તે પણ માતા-પિતાની જરૂરિયાતોનું ધ્યાન રાખે. આમ કરવાથી માતા-પિતા નારાજ નહીં થાય અને સંબંધો પણ વધુ સારા બનશે.


હંમેશા સાથ આપો:
જેમ બાળપણમાં આપણને માતા-પિતાની જરૂર હતી. તેમણે આપણને ચાલતા શીખવાડ્યુ, ભણાવ્યુ-ગણાવ્યુ ત્યારે જઈને આજે તમે જીવનમાં કંઈક બની શક્યા છો. એવામાં ઉંમરનો એક પડાવ એવો પણ આવે છે, જ્યારે માતા-પિતાને તમારા સાથની જરૂર હોય છે. એવામાં તમારી ફરજ બને છે કે, આ પડાવ દરમિયાન માતા-પિતાનો સાથ ન છોડો. તેમનો હંમેશા સાથ આપો. તેમની નાનામાં નાની ખુશીમાં ખુશ થાવ અને મોટામાં મોટા દુઃખમાં તેમના પડખે ઉભા રહો.