Tourist Places : આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. ઉનાળો આવતા જ હિલ સ્ટેશન પર જમાવડો શરૂ થઈ જાય છે. ગુજરાતના હિલ સ્ટેશનો પણ અદભૂત છે પરંતુ એક હિલ સ્ટેશન એવું છે જ્યાં તમને ગાડી જેવા વાહનો લઈને જવાની મંજૂરી નથી. આ હિલ સ્ટેશન એક એવું હિલ સ્ટેશન છે જે તમને 100 વર્ષ પહેલાંના યુગની યાદ અપાવી દેશે. જ્યારે વાહન વ્યવહાર ન હતો ત્યારે કેવો સમય હતો. અહીં વાહન વ્યવહાર ન હોવાના કારણે હજારો પ્રવાસીઓની અવરજવર છતાં સ્થળ ખુબ જ શાંત લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અદભૂત અને અનોખું હિલ સ્ટેશન
અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છે તે છે મહારાષ્ટ્રમાં આવેલું ગુજરાતીઓને મનગમતું હિલ સ્ટેશન માથેરાન. સુરતથી આ હિલસ્ટેશન લગભગ 7 કલાકના અંતરે છે. આ એક એવું એનોખુ હિલ સ્ટેશન છે કે ત્યાં તમે જો ગાડી લઈને જાઓ તો મસમોટો દંડ ભરવો પડી શકે છે. અહીં તમે પગપાળા કે પછી ઘોડા પર ફરી શકો છો. આ માથેરાન હિલ સ્ટેશન એ રાયગઢ જિલ્લામાં આવેલું છે.


ઓટોમોબાઈલ વાહનો ફ્રી
જે દેશનું સૌથી ટબુકડું હિલ સ્ટેશન છે. તમને આ જાણીને નવાઈ લાગશે કે એશિયાની એકમાત્ર જગ્યા છે જે સંપૂર્ણ રીતે ઓટો મોબાઈલ વાહનો ફ્રી છે. અહીં તમને કાર કે ઓટો કે બાઈક જોવા મળશે નહીં. પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે આ જગ્યાને સંવેદનશીલ જાહેર કરેલી છે. આ જ કારણ છે કે તમને અહીં વાહનો જોવા મળશે નહીં. 



સ્વર્ગ જેવું સૌંદર્ય
માથેરાનને તમે જ્યારે પણ જોશો તો ત્યાં હરિયાળી અને કુદરતનું અખૂટ સૌંદર્ય જોવા મળશે. આ જગ્યા સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. હવે મોટો અવાજ કરવાની પણ મનાઈ છે. હોર્ન જેવી વસ્તુઓ પર અહીં સંપૂર્ણ રોક છે. માથેરાન શબ્દનો અર્થ જોઈએ તો ટોચ પર આવેલું જંગલ એમ થાય. અથવા તો જંગલ માતા. આમ તો ચોમાસામાં ફરવા જવાની મજા વધુ આવે પરંતુ ઉનાળામાં પણ શાંતિ અને ઠંડકના અનુભવ માટે લોકો ત્યાં જાય છે. 



ફરવાના સ્થળો...
માથેરાનમાં કુલ 38 પોઈન્ટ છે. તેમાંથી પેનોરમા પોઈન્ટ ખાસ છે જ્યાંથી 360 અંશનું દ્રશ્ય જોવા મળે છે. નેરળ નગર પણ દેખાય છે. આ પોઈન્ટથી સૂર્યોદય અને સૂર્યાસ્ત મસ્ત દેખાય છે. લ્યુઈસા પોઈન્ટ પરથી પ્રબળ ગઢનું દ્રષ્ય સ્પષ્ટ દેખાય છે. વન ટ્રી હીલ પોઈન્ટ, હાર્ટ પોઈન્ટ, મંકી પોઈન્ટ, પોકર્યૂપાઈન પોઈન્ટ, રામબાગ પોઈન્ટ પણ જાણીતા છે. 



કેવી રીતે જશો માથેરાન
આ જગ્યા સમુદ્ર તળથી લગભગ 2600 ફૂટની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશનમાં ફરવા માટે અનેક જગ્યા છે. મુંબઈથી તે ફક્ત 100 કિમી દૂર છે. જ્યારે પુણેથી 120 કિમી, સૂરતથી 320 કિમી દૂર છે. મુંબઈ પુણે રેલવે લાઈન પર નેરળ સ્ટેશન આવેલું છે જ્યાંથી માથેરાન 11 કિમી દૂર છે. નેરળ સ્ટેશનથી માથેરાન પ્રવેશ દ્વાર સુધી જવા માટે શેર ટેક્સીઓ મળે છે. માથેરાન ટેક્સી સ્ટેન્ડથી મુખ્ય શહેર સુધી પહોંચવા માટે ચાલીને જવું પડે છે. અથવા ઘોડા પણ ઉપલબ્ધ છે. નેરળથી ટોય ટ્રેન પણ અમુક સમય દરમિયાન ચાલતી હોય છે. 



 



 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


Zee 24 Kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HMuWPQ6Glo7BF9PbHMHDrca