અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલ
અમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/ ગુનેગાર તત્વ અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે.
આગામી દિવસોમાં બકરી ઇદ, મહોરમ, રથયાત્રા વિગેરે ધાર્મિક તહેવારો આવનાર હોય, આવા તહેવારોના સમયગાળા દરમ્યાન આંતકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ મકાન ભાડે રાખીને અમદાવાદમાં રહી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતા નકારી શકાય નહી.
અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણો મુકવાનું જરૂરી જણાય છે. આથી હું જી.એસ.મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ ના નં-૨ તથા (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી /૧૦૮૨ / એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં.જીજી/ ફક/ ૧૦૮૮/ ૬૭૫૦/૫,અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં કોઇ મકાન/ ઔદ્યોગિક એકમો/ ઓફીસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજોનાં માલિકો અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યકિત/સંચાલકો જયારે, મકાન/ઔદ્યોગિક-એકમો/ ઓફીસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજનાં માલિકો મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યકિતને ભાડે આપી શકશે નહિ, ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નીચેના કોલમો મુજબ જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
1. મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત-કો વિસ્તારમાં કેટલાં ચો.મી બાંધકામ છે. 2. મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યકિતનું નામ 3. મકાન ક્યારે ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું? 4. જે વ્યકિતઓને ભાડે આપેલ છે. તેમના પાકા નામ, સરનામાં ફોટોગ્રાફ, પાસ પોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવા. 5. મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ સરનામું તથા પાસપોર્ટ. ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ પુરાવા રૂપે સાથે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે આદેશ કરાયા છે.
પોલીસ કમિશ્નરે જાહેર કરેલા હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 23 મેથી 21 જુલાઈ સુધી અમદાવાદમાં કોઈ પણ મિલકત ભાડે અપાય તો ઉપરોક્ત નિયમોનું પાલન કરવું પડશે. જો આ નિયમોનું પાલન નહીં કરાય તો કલમ 188 મુજબ વ્યક્તિ શિક્ષાને પાત્ર ગણાશે.
1897ના એપેડેમીક એક્ટની કલમ 3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ પણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે, સૂચનાઓ અને નિયમોનો ભંગ કરે છે, તો તેને આઈપીસીની કલમ 188 હેઠળ સજા થઈ શકે છે.
IPCની કલમ 188 હેઠળ સજાની બે જોગવાઈઓ છે. પ્રથમ જોગવાઈમાં જો તમે સરકાર અથવા સરકારી અધિકારી દ્વારા કાયદાકીય રીતે આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન કરો છો અથવા જો તમારી ગતિવિધિથી કાયદો અને વ્યવસ્થા માટેની વ્યક્તિને નુકસાન પહોંચે, તો તમને ઓછામાં ઓછી એક મહિનાની જેલ અથવા 200 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
બીજી જોગવાઈમાં જો તમારા દ્વારા સરકારના આદેશના ઉલ્લંઘનથી માનવ જીવન, આરોગ્ય અથવા સલામતી વગેરેને જોખમ થાય, તો તમને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડના પહેલા શિડ્યુલ મુજબ બંને કેસમાં જામીન આપી શકાય છે અને કોઇ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી થઈ છે.