આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?

Sun, 08 Sep 2024-5:00 pm,

ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દસ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, કામકાજ, વર્ગો અને વ્યવસાયો સ્થગિત કરવામાં આવ્યા છે અને શુક્રવારે 100થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

યાગી વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટક્યા બાદ હવે આગળ વધીને તે ચીન પર ત્રાટક્યું છે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે. શુક્રવારે ચીનના દક્ષિણમાં આવેલા હૅનાન વિસ્તારમાં ત્રાટક્યું હતું. આ એટલું શક્તિશાળી છે કે આ વિસ્તારમાં સૌથી લૉ પ્રેશર કેન્દ્રોમાંથી એક નોંધાયું હતું. ચીનના જે વિસ્તાર પર તેની અસર થઈ રહી છે ત્યાં સમુદ્રમાં ખૂબ જ પાંચથી સાત મીટર ઊંચી લહેરો ઊઠવાની આગાહી કરવામાં આવી છે. શનિવારે આ વાવાઝોડું ફરીથી વિયેતનામમાં ત્રાટકે એવી સંભાવના છે. વિયેતનામમાં ત્રાટકશે ત્યારે પણ આ વાવાઝોડું ખૂબ શક્તિશાળી ટાઇફૂન જ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

આ એક જ વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવના છે. પ્રથમ તે ફિલિપાઇન્સ પર ત્રાટક્યું, જે બાદ ચીનના વિસ્તારોમાં તે ત્રાટક્યું અને ત્યાંથી આગળ વધીને તે ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકશે. આમ આ વાવાઝોડું ત્રણ વખત લૅન્ડફૉલ કરશે. વાવાઝોડું દરિયામાંથી આગળ વધીને જમીન પર આવે તે લૅન્ડફૉલ કહેવામાં આવે છે. વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર સુધી 'યાગી' નામના આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારથી આવતા ચાર દિવસ એટલે કે 7 થી 10 સપ્ટેમ્બર સુધી ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, કેરળમાં ખુબ જ ભારે વરસાદ થયો છે. 

હવામાન વિભાગ અનુસાર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 8 અને 9 સપ્ટેમ્બર, વિદર્ભમાં 12 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થશે, જ્યારે મધ્ય પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી, ગુજરાતમાં 7 સપ્ટેમ્બર, છત્તીસગઢ, કોંકણ, ગોવામાં 7-12 સપ્ટેમ્બર, વિદર્ભમાં 8-13 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રમાં 7-10 સપ્ટેમ્બર, મરાઠવાડામાં 12 અને 13 સપ્ટેમ્બરના વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો તટીય કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં આ અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે. જેમાંથી તટીય આંધ્રપ્રદેશ, યનમ ખાતે આઠમી સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા ખાતે 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય, કેરળમાં 7-9 સપ્ટેમ્બર, તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા, સાઉથ ઇન્ટિરીયર કર્ણાટકમાં 7-10 સપ્ટેમ્બર, તટીય કર્ણાટકમાં 7-11 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. 

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો મધ્યમથી ભારે વરસાદ આજે થશે, જ્યારે આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. પૂર્વી રાજસ્થાનમાં 7 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 7 સપ્ટેમ્બર, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 7 અને 8 સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં 7 અને 9 થી 11 સપ્ટેમ્બર, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 10 અને 11 સપ્ટેમ્બર, પૂર્વી રાજસ્થાનમાં 7-9 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 9 ને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે.

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link