ખેતરમાં ઉગશે રૂપિયાના ઝાડ! ગુજરાતના ખેડૂતોની કિસ્મત ચમકાવી શકે છે આ યોજના
Farmers of Gujarat: ભારત ખેડૂત પ્રધાન દેશ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી પણ હંમેશા ખેડૂતોને પ્રાધાન્ય આપવાની વાત કરે છે. એમાંય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ જબરદસ્ત યોજનાનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો પણ ચમકાવી શકે છે પોતાની કિસ્મત. શું છે આ યોજના જાણો વિગતવાર... શું તમે પણ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવો છો? શું તમે પણ કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલાં છો? તો સરકારની આ જબરદસ્ત યોજના અંગે જરૂરથી મેળવી લો જાણકારી...કારણકે, આ યોજનાથી ખેડૂતોનો થઈ શકે છે મોટો આર્થિક લાભ...
પ્રધાનમંત્રી મોદી અવારનવાર પોતાના ભાષણોમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી ચુક્યા છે. તેના માટે સરકાર દ્વારા કૃષિની અલગ અલગ યોજનાઓ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ યોજનાઓની જાણકારી તમામ ખેડૂતો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે.
અહીં વાત કરવામાં આવી છે એક એવી યોજના વિશે જેની વાત અવારનવાર પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણોમાં કરતા રહે છે. આ યોજના થકી ખેડૂતો વિનામૂલ્યે વિજળી વાપરી શકશે. એટલું જ નહીં આ યોજના થકી ખેડૂતો વીજ ઉત્પાદન કરીને પોતે પૈસા પણ કમાઈ શકશે. આ યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. આ યોજના બદલી રહી છે લાખો ખેડૂતોની કિસ્મત.
ગુજરાત સરકાર દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન કરી શકશે અને ઉત્પાદન કરેલ વીજળી ઉપયોગ ખેતીમાં કરી શકશે. આ ઉપરાંત વધારાની વીજળીને વીજનિગમ ને વેચીને વધારાની આવક મેળવી શકશે.
ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩૫ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧૨.૫ કિલોવોટની પેનલ અપાશે) – પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે.
જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે. વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.૫૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી. સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર ઉપર દિવસે ૧૨ કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહીં જોડાય તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.
- ખેડૂતોને વીજ બિલમાં મળશે મોટી રાહત - ખેડૂતો ખેતી ઉપરાંત ખેતરમાં પેદા કરશે વીજળી - ખેતી સાથે એક નવા વ્યવસાયથી કમાણીની તક - સોલારથી વીજળીનું ઉત્પાદનએ ભવિષ્ય છે - સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે - ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળશે. - સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. - દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો મળી રહેશે જ લોન ભરપાઇ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે. - સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે. પેનલની ઊંચાઇ વધારવી હોય તો પણ વધારી શકાશે.
વીજળીનું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે. જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે. બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે. ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.