ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો

Fri, 14 Jun 2024-12:40 pm,

ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે.

સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

ભારતમાં લગભગ 2 હજારથી વધુ જાતના સાપ જોવા મળે છે. જેમાં માત્ર 5 જાતના જ સાપ ઝેરી હોય છે. બાકીના બધા બિનઝેરી હોય છે. એટલે કે તેના કરડવાથી જીવનું જોખમ નથી રહેતું. ભારતમાં નાગ, નાગરાજ, કાળોતરો, ચીતળ અને કુરસા સાપ ખુબ જ ઝેરી માનવામાં આવે છે. જેમના કરડવાથી અનેક લોકો જીવ ગુમાવે છે.

કોઈને પણ પૂછો કે તમને સાપથી ડર લાગે છે તો સ્વભાવિક રીતે જવાબ હા જ હોય છે. દુનિયાના ઘણા એવા દેશ છે કે જ્યાં લોકો દરરોજ આ ખતરાનો સામનો કરે છે.

ઘણી વખત સાપ કરડ્યા બાદ સારવાર ન મળતા લોકો જીવ પણ ગુમાવે છે. પરંતુ હવે ગુજરાતમાં સર્પદંશ વધતા ચિંતા વધી ગઈ છે. ત્યારે સર્પદંશ વધવાના શું કારણ છે તે જાણવા પણ ખુબ જ જરૂરી છે.

ચોમાસાનીઋતુનો પ્રારંભ થતા મહાનગરોમાં સરિસૃપો બહાર આવવાની ઘટના વધવા લાગે છે. ઘણી વખત રહેણાક વિસ્તારમાં પ્રવેશી ગયેલા સાપ કરડવાના બનાવ પણ નોંધાતા હોય છે. ત્યારે 108માં આવેલા કોલ મુજબ અમદાવાદમાં છેલ્લા 7 વર્ષમાં સાપ કરડવાના કુલ 500 થી વધુ કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં ચાર વર્ષમાં કુલ 25 હજારથી વધુ કેસ સર્પદંશના નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજ્યના વલસાડ જિલ્લામાં નોંધાય છે. દર વર્ષે રાજ્યમાં સાપ કરડવાના લગભગ 5 હજારથી વધુ કેસ નોંધાતા હોય છે. સામાન્ય દિવસો કરતા ચોમાસામાં સાપ કરડવાના કેસમાં વધારો નોંધાતો હોય છે.

નિષ્ણાતોની માનીએ તો, ઉનાળામાં જમીન તપેલી હોય છે. ચોમાસામાં એ જમીનમાં પાણી જતા સાપના દરમાં પાણી જાય છે. જેમાં તેને ગરમી, ગભરામણનો અનુભવ થતો હોવાથી સાપ ચોમાસામાં પોતાના દરમાંથી બહાર આવી જાય છે. એ જ કારણ છે કે, ત્યારે સાપ કરડવાના કેસ વધારે બનતા હોય છે.

ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે.

આમ તો રાજ્યભરમાં સાપ કરડવાના કેસ નોંધાતા હોય છે.પરંતુ સૌથી વધુ વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ કરડવાના કોલ આવે છે. ચોમાસામાં સાપના દરમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે.

ગામડાઓમાં લાઇટના અજવાળામાં ગરોળી, દેડકા, માખી-મચ્છર, કિડી, મકોડા ખાવા આવતા હોય છે. આથી સાપ પણ તેમની પાછળ પાછળ આવી જતા હોય છે. ત્યારે જાણે-અજાણએ લોકોનો પગ સાપ પર પડી જતો હોય છે.

 સાપ પોતાના બચાવ માટે કરડતો હોય છે. ખેતરમાં પણ આવી જ રીતે સર્પદંશના બનાવ બનતા હોય છે.

અમદાવાદમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાના કેસ વધુ નોંધાતા હોય છે. વર્ષ 2018 થી લઈને 2023 સુધી અમદાવાદ જિલ્લામાં નોંધાયેલાં સર્પદંશના કેસોની વાત કરીએ તો દર વર્ષે સરેરાશ 100 કરતા વધારે કેસ નોંધાતા હોય છે. 

સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. 70 સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ.

સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું. ચારે બાજુથી નાડી, દોરી બાંધીને દબાણ આપીને વધારે થાય તેવું ન કરવું. તેનાથી હાથ અને પગને કાપવો પણ પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી. સાપ કરડવાના કિસ્સામાં નિષ્ણાતોની સલાહ અચૂક લેવી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link