વડોદરાથી મુંબઈ માત્ર 3.5 કલાકમાં પહોંચાય તેવા એક્સપ્રેસ વેનુ થઈ રહ્યું છે નિર્માણ

Thu, 30 Sep 2021-4:28 pm,

હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-૨૦૧૯ માં કરવામાં આવી હતી. ૧,૩૮૦ કિલોમીટરમાંથી ૧,૨૦૦ કિલોમીટરથી વધુ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને કામો પ્રગતિમાં છે.  

તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ. ૩૫,૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ૩૯૦ કિમીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે.

ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ આર. ઓ.બીનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વેને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮ -લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ -વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે. રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર એક્સપ્રેસ-વેનો એક મોટો વિભાગ, વડોદરા-અંકલેશ્વરનો ૧૦૦ કિલોમીટરનો વિસ્તાર બાંધકામના અંતિમ તબક્કામાં છે અને માર્ચ ૨૦૨૨ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ ૨૦૨૩ સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. નવા એક્સપ્રેસ-વે થી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે. આનાથી ૩૨૦ મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે અને ૮૫૦ મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ૪૦ મિલિયન વૃક્ષો વાવવા સમાન છે.  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) ની પર્યાવરણીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે હાઇવે પર ૪૦ લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના છે.

પર્યાવરણીય અને વન્યજીવનની અસરને ઘટાડવી એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માટે આ પ્રોજેક્ટનો પાયાનો આધાર રહ્યો છે. આ એક્સપ્રેસ -વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો છે, જેમાં વન્યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણી ઓવરપાસ છે. DME માં ત્રણ વન્યજીવન અને ૭ કિમીની સંયુક્ત લંબાઈ સાથે પાંચ ઓવરપાસ હશે અને વન્યજીવોની એકીકૃત હિલચાલ માટે સમર્પિત કરવામાં આવશે. એક્સપ્રેસ વે માં બે આઇકોનિક આઠ લેન ટનલનો પણ સમાવેશ થશે. પ્રથમ મુકુન્દા અભયારણ્ય દ્વારા ૪ કિમીના વિસ્તારમાં ભયજનક પ્રાણી સૃષ્ટિને જોખમમાં નાખ્યા વગર અને બીજી માથેરાન ઇકો સેન્સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્સિટિવ ઝોન) ૪ કિમી ૮ લેન-ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ દેશના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હશે. 

આ એક્સપ્રેસ વેના નિર્માણમાં ૧.૨ મિલિયન ટનથી વધુ સ્ટીલનો વપરાશ થશે, જે કલકત્તાના જાણીતા હાવડા બ્રિજ જેવા ૫૦ પૂલો ના નિર્માણ સમાન છે. આ પૂલોના નિર્માણ દરમિયાન ૪૦ મિલિયન ટ્રક ભરાય તેટલી એટલે કે આશરે ૩૫૦ મિલિયન ક્યુબિક મીટર માટી ખસેડવામાં આવશે. DME એ હજારો પ્રશિક્ષિત સિવિલ એન્જિનિયરો અને ૫૦ લાખથી વધુ માનવ-દિવસના કામ માટે રોજગારીનું સર્જન કર્યું છે. આ પ્રોજેક્ટમાં ૮ મિલિયન ટન સિમેન્ટનો વપરાશ થશે, જે ભારતની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાનો લગભગ બે ટકા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link