Pics : ખલાસી સમાજના લોકો વગર અધૂરી હોય છે અમદાવાદની રથયાત્રા, સંભાળે છે મહત્વની જવાબદારી
ભગવાન જગન્નાથ રથયાત્રાના દિવસે જ્યારે નગરચર્યા કરવા નીકળવાના છે, ત્યારે ભગવાનના રથને ખેંચવા ખલાસી સમાજના લોકો ખાસ આવે છે. આ બાબતનું એક ખાસ મહત્વ છે. ખલાસી સમાજના લોકો દ્વારા ભગવાનના રથને ખેંચવાનું કામ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની પ્રથમ રથયાત્રા નીકળી ત્યારથી લઈ આજ દિન સુધી ખલાસી સમાજના લોકો જ ખુલ્લા પગે રથ ખેંચે છે. ખલાસી સમાજના લોકો રથના સમારકામથી લઈ ભગવાનને નગર યાત્રા કરાવવાનું કામ કરી રહ્યા છે. દર વર્ષે રથયાત્રાને લઈને ખલાસી સમાજના લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળે છે. તેમજ આ સમાજના લોકો ગુજરાત જ નહિ, પરંતુ ભરતના ખૂણેખૂણામાંથી પણ રથયાત્રાના દિવસે અચૂક અમદાવાદમાં આવી ભગવાનના રથ ખેંચવાનો લ્હાવો લે છે. આ કામને તેઓ પોતાનું સદનસીબ માને છે.
આ વિશે ખલાસ એસોસિયેશનના પ્રમુખ મફતભાઈ ખલાસી કહે છે કે, વર્ષો પહેલા ખલાસ સમાજ દ્વારા ભગવાનનો રથ ખેંચવાનું કાર્ય સ્વીકારવામાં આવ્યું હતું. અમારા સમાજના યુવાનો પણ આજે આ કાર્યમાં હોંશભેર જોડાય છે. આ વર્ષે ભગવાનનો રથ ખેંચવામાં અંદાજે 1200 થી 1500 જેટલા ખલાસો જોડાશે. જેમાં 18 વર્ષના યુવાનથી લઈ 75 વર્ષના વયોવૃદ્ધો પણ સામેલ હશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ખલાસી સમાજના લોકો ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને નિજ મંદિરથી મામાના ઘરે સરસપુર અને ત્યાંથી પરત નિજ મંદિર સુધી યાત્રા કરવવા માટે તૈયાર છે.
યુવા કુશલ ખલાસી કહે છે કે, આ સમાજના પુરુષો રથયાત્રાની મોટા અવસરની જેમ રાહ જુએ છે અને તેને ઉજવે પણ છે.