આ ગુજરાતી દાદીએ એવુ કામ કર્યું કે તેમને વંદન કરો એટલા ઓછા, મહેનતની મૂડી દાન કરી દીધી

Thu, 23 Mar 2023-5:06 pm,

દાતારી અને વીરતા અંગે આપણા કવિઓએ લેખકોએ ખુબ લખ્યું છે અને કહેવાય છે ને કે દાતારી અને વીરતાના ટ્યુશન ના હોય તે અંદરથી આવે છે.મૃત્યુ બાદ આપણે સૌ એ સાથે કાંઈ લઇ જવાનું નથી જેમ જન્મ્યા હતા તેમજ કાંઇપણ સાથે લીધા વગર મૃત્યુ પામવાના છે આ વાતો આપણે અવાર નવાર સાંભળવા મળે છે આમછતાં કુટુંબ પરિવારની માયા છુટતી નથી.સમાજમા આપણે અવાર-નવાર સાંભળવા મળે છે કે માત્ર થોડા પૈસા માટે લોકો એકબીજાની હત્યા કરી દેતા પણ અચકાતા નથી ત્યારે દાતારી અને મોહ માયામાંથી છુટી કઇ રીતે જીવી શકાય તેનો સૌ કોઈ માટે એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. 

70 વર્ષ વટાવી ચુકેલ મણીબેન ટાકોચીયા હાલમાં પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં પોતાના નાના એવા મકાનમાં રહે છે.મણીબેનના પતિ મોહનભાઈ ટાકોચીયા કે જેઓને ભેળની રેકડી હતી જેઓ ભેળવારા   મોટાબાના તરીકે શહેરમાં પ્રસિદ્ધ હતા અને પાંચ મહિના પૂર્વે જ મોહનભાઈ ટાકોચીયાનુ મૃત્યુ થયું હતું.પરિવારમા ચાર દિકરીઓ અને એક દીકરો જે તમામના લગ્ન થઇ ગયા છે.

પતિ મોહનભાઈ ટાકોચીયા અને મણીબેને વર્ષો સુધી ભેળની રેકડી વડે તેમજ મણીબેને પોતે ઘરે પંતગો બનાવી વહેંચવા તેમજ કેટરિંગમાં રસોઈ કામ કરી અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર જેટલા રૂપિયા બચાવ્યા હતા.મણીબેને પોતા પાસે માત્ર 70 હજાર રકમ રાખી બાકીની બધી રકમ રૂપિયા 12 લાખ પોરબંદરના હિન્દુ સ્મશાનમાં દાન કરી દીધા છે. આ દાન અંગે મણીબેને જણાવ્યું હતું કે,મેં જીવનમાં બધું જોઈ લીધું છે તમામ તીર્થોની યાત્રા કરી લીધી છે હવે મને પૈસાનો કોઈ મોહ નથી માટે આપણે બધાએ અંતે જે સ્થળ પર જવાનું છે તે જગ્યા સ્મશાનમાં મેં દાન કર્યુ છે.

દાતારી શુરવીરતાની વાતો સાંભળી ગમે પણ જ્યારે ખરે સમયે જ્યારે દાન કરવાની વાત આવે તો જીવ ચાલતો નથી અરે સામાન્ય લોકો પાસે  તો વધુ પૈસા નથી હોતા જેથી તે દાન કરતા સેવાકીય કાર્ય કરતા અચકાય તે સ્વાભાવિક છે પરંતુ સમાજમાં એવા અઢળક લોકો છે જેઓની પાસે સાત પેઢી ચાલે તેટલી સંપત્તિના ભંડાર ભર્યા હોવા છતાં જરાપણ દાન  સેવાકીય કાર્ય કરવાની દાતારી તેઓમાં નથી હોતી પરંતુ પોરબંદરના મણીબેન જેવાની દાતારી જોઈને કહી શકીએ કે આવુ દાન ત્યાગ તો ભારતની માતાઓ જ કરી શકે.મણીબેન ટાકોચીયાના પાડોશમાં રહેતા પાડોશીઓ પણ તેઓની દાતારીને બિરદાવતા જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે સૌ એ સાથે કાંઈ પણ નથી લઈ જવાનું આમ છતાં પૈસાનો મોહ છૂટતો નથી પરંતુ મણીબેનના આ કાર્યને જોઇને અમને પણ ગર્વ થાય છે અને અમને પણ એ વાતની પ્રેરણા મળી છે કે જ્યાં પણ જરુર હોય ત્યાં દાન કરવું જોઈએ

મણીબેને જે 12 લાખ રૂપિયાનું દાન કર્યું છે તે તેઓના મહેનતના પરસેવાની કમાણી છે આમ છતાં સેવાકીય કાર્ય માટે કોઇપણ પ્રકારના સંકોચ કે મોહ વગર જે રકમ દાન કરી છે તે સાચે જ બિરદાવવા પાત્ર છે અને તેના કારણે જ આજે સૌ કોઈ આ વૃદ્ધ મહિલાની દાતારીને વંદન કરતા જોવા મળી રહ્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link