રક્ષાબંધનની ઉજવણી સાથે બ્રાહ્મણોએ જનોઈ બદલી, મુખ્યમંત્રી રૂપાણીને બહેનોએ રાખી બાંધી
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બહેનોએ રાખડી બાંધી હતી. મોટી સંખ્યામાં બહેનો રાખડી બાંધવા મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્ય કરતી બેહેનો, સખી મંડળની બેહેનો અને વિધવા સહાય મેળવતી બહેનોએ મુખ્યમંત્રીના હાથે રાખડી બાંધી હતી.
રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદમાં 100 રૂષિકુમારોએ નુતન યજ્ઞોપવિત ધારણ કરી. શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાની પરંપરા હોય છે. છારોડી સ્થિત એસજીવીપીની યજ્ઞશાળા ખાતે યજ્ઞોપવિત ધારણ કરાઈ. યજ્ઞોપવિત ધારણ કરતા પુર્વે ઋષિકુમારોએ ગૌમુત્ર, દુધ અને દહિથી દેહ શુદ્ધ કર્યો અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરી. 100 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રો સાથે જનોઈ બદલવામાં આવી. ગાયત્રીમંત્ર તેમજ સૂર્યનારાયણના મંત્રને સિદ્ધ કરી જનોઈ બદલવાની વિધિ કરાઈ હતી. આજના દિવસે બ્રાહ્મણો જુની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરે છે.
પવિત્ર રક્ષાબંધનમાં કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધવા પહોંચી હતી. અમદાવાદની નવી અને જૂની જેલ ખાતે રક્ષાબંધન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પર્વ પર જેલ ખાતે વહેલી સવારથી બહેનોની લાઈન લાગી છે. જેલના અંદરના ગેટ પર જ રક્ષાબંધન મનાવી શકશે. જેલના સ્ટાફની સાથે બહારથી પણ બંદોબસ્ત બોલાવાયો છે. આ ઉપરાંત વેક્સીનના બે ડોઝનું સર્ટિફિકેટ ચેક કરી બહેનોને રક્ષાબંધન માટે એન્ટ્રી અપાશે તેવી અગાઉથી જાહેરાત કરાઈ છે. કેદી ભાઈઓને જેલના અંદરના પ્રવેશદ્વાર ખાતે ઉભા રાખી રાખડી બાંધી બહેનો પર્વ ઉજવી રહી છે. વેક્સીન સર્ટિફિકેટ ન હોય તો કોવિડ ટેસ્ટનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે.