આધુનિક ટેક્નોલોજીના યુગમાં દેશી પદ્ધતિથી વરસાદનો વરતારો જોવાની પરંપરા જાળવી રાખતું આ ગામ

Mon, 22 Jun 2020-7:40 pm,

જામનગર તાલુકાના આમરા ગામમાં વરસાદની આગાહી કરવાની અનોખી પરંપરા મુજબ આ વખતે પણ વર્ષો જુની રીત રિવાજ મુજબ આગાહી કરવામાં આવી હતી. ભમરીયા કૂવામાં ગ્રામજનો દ્વારા રોટલા નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે. જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનુ અનુમાન ગ્રામજનો દ્વારા વરસાદના વરતારા દરમિયાન કરવામાં આવ્યો છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન આ વર્ષે વહેલુ થયું છે. પરંતુ જામનગર તરફ મેઘાએ હજુ બરાબર મંડરાયો નથી. ત્યારે આમરા ગામનાં લોકો વરસાદ ક્યારે આવશે ? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક હોય છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વરતારા પર નહીં પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે ભમરીયા કુવામા રોટલા પધરાવી વરસાદનો વરતારો જાણવાની, ખુબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી છે.

જામનગર શહેર નજીક આવેલ આમરા ગામમાં વરસાદના વર્તારો જોવાની પરંપરા વિશે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આમરા ગામના એક દલવાડી પરિવારના ઘરે વૃધ્ધ ઉમરના મહિલા દ્વારા બે બાજરાના રોટલા બનાવવામાં આવે છે અને ત્યારબાદ વાળંદ જ્ઞાતિનો યુવાન હાથમા રોટલા લઇ સાથે ગ્રામજનો ભેગા થઈ ઢોલ નગારાથી વાજતે ગાજતે આ રોટલાઓ લઈ ગામના પાદરે માતાજીના મંદિર પાસે આવેલ ભમરીયા કુવામાં રાજપૂત સમાજના દીકરાના હાથે રોટલા કૂવામાં પધરાવવામાં આવે છે.

રોટલા કૂવામાં પડવાની દિશા પરથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે...આ પરંપરામાં ગામના સરપંચ સહિત તમામ ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકો પણ ઉત્સાહ થી જોડાય છે. જોકે કૂવામાં રોટલો પધરાવતી સમયે આ પરંપરામાં માત્ર પુરુષો જ જોડાય છે. હવામાનની આગાહીનું વિજ્ઞાન ભલે આધુનિક બનતું જતું હોય પરંતુ આજે પણ અનેક ગામડાઓમાં વરસાદનાં વરતારા જોવાના તેમના આગવા રીત રિવાજ છે અને આ રિવાજ તેઓ પેઢીદર પેઢી પાળતા હોય છે.

જામનગર નજીકનાં આમરા ગામમાં પાંચ-છ સદીઓથી રોટલા થી વરસાદ નો વરતારો જોવાની પરંપરા છે. આ વખતે કૂવામાં નાખેલ રોટલાની દિશા ઉગમણી તરફ રહેતા ચોમાસુ સારૂ રહેવાની આગાહી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ આગાહી કેટલા અંશે સાચી છે તે તો આવનારો સમય જ બતાવશે.

જોકે હાલ કોરોનાની મહામારી બીમારી ચાલી રહી હોય અને લોકો વચ્ચે તેમજ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી હોય. ત્યારે આમરા ગામે ભમરીયા કુવામાં રોટલો નાખતી વેળાએ ક્યાંકને ક્યાંક આમરા ગામ ના ગ્રામજનોમાં થોડો સોશિયલ ડિસ્ટન્સ ની જાગૃતિ અંગેનો અભાવ જોવા મળ્યો અને કૂવામાં રોટલો નાખતી વેળાએ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો પાસે પાસે એકઠા થયા હતા. પરંતુ ગામના લોકો માટે કોરોના ના ભય કરતાં પણ ખેતીમા અને વરસાદનું વર્ષ કેવું જશે તે જાણવું ખૂબ જ જરૂરી હોય...જેથી કોરોના ના ભય ને ભૂલીને પણ વરસાદનો વરતારો નક્કી કરવા માટે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા અને કુદરતના સારા એંધાણ આવતાની સાથે જ ગ્રામજનો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link