નવરાત્રીના 9 દિવસોમાં દેવી માતાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે દેવી માતાના આ સ્વરૂપની  આરાધનાનું વિશેષ મહત્વ છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. આથી તેઓ વિદ્યાર્થીઓ અને જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છુક લોકોના આરાધ્ય દેવી છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉત્પતિની શું કથા છે અને તેમની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ કરાય છે માતા બ્રહ્મચારિણીની પૂજા?
એવી માન્યતા છે કે જે લોકો કઠિન પરિશ્રમ અને લગનથી કામ કરે છે તેને માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 


જ્ઞાન પ્રાપ્તિ
માતા બ્રહ્માચારિણી જ્ઞાનના દેવી છે. તેમની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. 


કામમાં સફળતા
માતા બ્રહ્મચારિણીના આશીર્વાદથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. 


માતા બ્રહ્મચારિણીની ઉત્પતિની કથા
બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા. શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી. 


એવો ઉલ્લેખ છે કે, એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. 


પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે. 


સદાચાર, સંયમની વૃધ્ધિ
મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે. 


માતા બ્રહ્માચારિણીની પૂજાથી જીવન સુધરે છે
માતા બ્રહ્મચારિણીની આ કથાનો સાર એ છે કે વ્યક્તિએ ક્યારેય વિપરીત પરિસ્થિતિમાં પણ ગભરાવવું જોઈએ નહીં. ઉલ્ટું ડટીને સામનો કરવો જોઈએ. એવી માન્યતા છે કે માતા બ્રહ્મચારિણીની કૃપાથી મન શાંત અને સ્થિર રહે છે. કપરી પરિસ્થિતિઓમાં પણ વ્યક્તિ ધૈર્ય અને શાંતિ જાળવી રાખવામાં સક્ષમ રહે છે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી જ ભક્તોને તમામ કાર્યોમાં સિદ્ધિ મળે છે. તેમની પૂજા કરવાથી જીવનના રહસ્યોને સમજવામાં સક્ષમ થાય છે. 


પૂજા કેવી રીતે કરશો?
બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી  ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું અને ( ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ ) મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઇ 11 વાર ( દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા ) આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને ( ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ ) મંત્રનું ઉચ્ચારણ કરવું.