નવી દિલ્લીઃ ધર્મ અને આસ્થા ભારતીય સંસ્કૃતિના પાયા છે. ભારતમાં ઉજવાતા દરેક તહેવારોની પાછળ કંઈકને કંઈક દંતકથા રહેલી હોય છે. પવિત્ર મહિનાઓમાંના એક શ્રાવણ મહિનાનું અને તેમા પણ ખાસ કરીને સોમવારનું વિશેષ મહાત્મય હોય છે. લોકવાયકા મુજબ ભગવાન શિવને સોમવાર વિશેષ પ્રિય હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આવતા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. બિલિપત્ર, દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરીને તેમની કૃપા મેળવવામાં આવે છે. કહેવાય છે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ માસમાં સોમવારનું અન્ય બીજી રીતે પણ ખૂબ જ મહત્વ છે. સોમવારના દિવસે ઘણા વ્રતો મનાવવામાં આવે છે. કહેવાય છે કે, માતા પાર્વતીએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે 16 સોમવારનું વ્રત કર્યુ હતું. આજે પણ ઘણી કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે 16 સોમવારના વ્રત કરે છે. શ્રાવણના પ્રથમ સોમવારથી આવનાર સતત સોળ સોમવાર સુધી ચાલતુ આ વ્રત કરવાથી તમામ ઇચ્છાઓ પૂરી થતી હોવાનું પણ મનાય છે.


શ્રાવણ મહિના દરમિયાન સોમવારનું વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત એમ એકી સંખ્યામાં મહાદેવને બિલિપત્ર ચઢાવવામાં આવે છે. આમ ભક્તો ક્રમબદ્ધ સાકરિયો સોમવાર, ભાખરિયો સોમવાર, ઉભો સોમવાર, મૌન સોમવાર, સોમવતી અમાસ કરીને ભગવાન શિવની પૂજા-આરાધના કરીને તેમના આશિષ મેળવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી.)