ઝી બ્યૂરો, અમદાવાદઃ રામાયણમાં જેમ દર્શાવવામાં આવ્યું છેકે, ભગવાન રામએ એક મર્યાદા પુરુષોત્તમ છે. એજ રીતે માતા સીતા એ સ્ત્રીત્વ, સહનશીલતા, શાલીનતા અને ત્યાગનું સ્વરૂપ છે. આજે માતા સીતાને યાદ કરવાનો વિશેષ દિવસ છે. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ મહેલમાં આજે પણ છવાયેલી છે માતા સીતાની યાદોઃ
શું તમે જાણો છો કે માતા સીતાનું બાળપણ ક્યાં વીત્યું હતું ? જ્યાં માતા સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન આજે ક્યાં આવ્યું છે ? ચાલો, આજે આપને લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં. એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણ-કણમાં સચવાયા છે માતા સીતાના સ્પંદન.


આજે પણ જનકપુરીમાં છે રામાયણકાળની યાદોઃ
આમ તો સમગ્ર નેપાળમાં ‘આધ્યાત્મિક્તા’ની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે. પરંતુ, નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હ્રદયમાં અદકેરું જ સ્થાન ધરાવે છે. ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુરધામ કહેવું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મનશાપૂર્તિ મિથિલા નગરી.


સિયારામજીની એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે. અને તેને વધારે જ દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે અહીંનો આ જનક મહેલ. જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે. ત્રેતાયુગીની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે. અને સાથે જ શ્રીરામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયા-રામજી પ્રથમવાર મળ્યા હતાં. અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી શ્રીરામ ‘મૈથિલી’ને વર્યા હતાં.


સીતા માતાના જન્મ સ્થાન અંગે અસમંજસઃ
ત્રેતાયુગમાં મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતમતાંતર હોય પરંતુ, એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના ‘જનકમહેલ’માં જ વિત્યું હતું દેવી સીતાનું બાળપણ.


ક્યાં વિત્યુ સીતા માતાનું બાળપણઃ
લોકમાન્યતા અનુસાર પ્રાચીનકાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ ‘જનક’ રાજાઓ શાસન ચલાવતાં. વાસ્તવમાં વિદેહની ગાદિ પર બેસનાર દરેક રાજા ‘જનક’ તરીકે જ ઓળખાતો. અને તે જ કુળમાં રાજા ‘સીરધ્વજ’નું પ્રાગટ્ય થયું. આ ‘સીરધ્વજ’ એટલાં ગુણી અને જ્ઞાની હતાં કે તે જ ‘જનક’ રૂપે પ્રસ્થાપિત થઈ ગયા. અને તેમને જ ધરતી ખેડતાં એક ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે જ તો દેવી ‘સીતા’. એ સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની છે માન્યતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube