નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ ગણાતા સચિન તેન્દુલકરનો આજે જન્મદિવસ છે. સચિને પોતાના બર્થડે ઉપર પણ એક સદી ફટકારી હતી. જેમાં તેમણે શેન વોર્નની બોલિંગમાં બરાબર ધમાલ મચાવીને આ ઓસ્ટ્રેલિયાન દિગ્ગજને ઓટોગ્રાફ લેવા પર મજબુર કર્યો હતો. તેન્દુલકર અને વોર્ન વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ક્રિકેટ જગતના સૌથી ચર્ચિત અંગત મુકાબલામાં સામેલ રહ્યું છે. પરંતુ શારજાહમાં 24 એપ્રિલ 1998ના રોજ ઓસ્ટ્રેલિયાના ખતરનાક લેગ સ્પીનરની સચિન તેન્દુલકરે હાલત બગાડી નાખી હતી. છેલ્લા 3 દિવસની અંદર બીજીવાર તેની બોલિંગમાં તડાફડી મચી હતી અને તેનો શેન વોર્ને પોતે સ્વીકાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં મહત્વનું યોગદાન આપનારા ડોક્ટરો, નર્સો, અન્ય મેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ, સૈન્યકર્મીઓ અને સફાઈકર્મીઓના સન્માનમાં જો કે સચિને પોતાનો 47મો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. પરંતુ આજથી 22 વર્ષ અગાઉ તેન્દુલકરે પોતાનો 25મો જન્મદિવસ ખુબ ધામધુમથી ઉજવ્યો હતો. તેને અનોખા ઉપહાર પણ મળ્યા હતાં. 



ભારતે તેન્દુલકરના દમ પર શારજાહમાં ત્યારે ત્રિકોણીય જંગ જીત્યો હતો. તેન્દુલકર ત્યારે મેન ઓફ ધ સીરિઝ બન્યા હતાં અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બન્યા હતાં. પરંતુ પોતાના જન્મદિવસ પર તેમને સૌથી મોટી ગિફ્ટ બીજા કોઈએ નહીં પરંતુ ખુદ શેન વોર્ને આપી હતી. તેમણે પોતાની શર્ટ કાઢી અને તેન્દુલકરને તેના પર પોતાનો ઓટોગ્રાફ આપવા માટે કહ્યું હતું. આ પળ ટુર્નામેન્ટની યાદગાર પળ બની ગઈ હતી. 


તેન્દુલકરને બીજું મોટું ઈનામ ઓસ્ટ્રેલિયાના તે સમયના કેપ્ટન સ્ટીવ વોઘે આપ્યું હતું. તેમણે એવોર્ડ સેરેમની વખતે કહ્યું હતું કે તેમની ટીમને ભારતે નહીં પરંતુ સચિન તેન્દુલકરે હરાવી. તેન્દુલકરે એક ઈન્ટરવ્યુમાં તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે "મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ ખાસ બની ગયો હતો. સ્ટીવ વોઘે કહ્યું કહ્યું કે તેઓ મારાથી હારી ગયાં. ઓસ્ટ્રેલિયન કેપ્ટને આ વાત જે દિવસે કહી હતી તે દિવસે મારો 25મો જન્મદિવસ હતો. જન્મદિવસે આનાથી સારો ઉપહાર બીજો કોઈ ન હોઈ શકે."



ઓસ્ટ્રેલિયાની ટીમ તે સમયે ખુબ સારા ફોર્મમાં હતી. ત્રિકોણીય સીરિઝમાં તેણે ચારેય લીગ મેચ જીતી હતી. ભારત અને ન્યૂઝિલેન્ડે એક એક મેચ એકબીજાને હરાવ્યાં હતાં. ભારતે પોતાની છેલ્લી લીગ મેચ 22 એપ્રિલે રમવાની હતી. તે દિવસે શારજાહમાં ભયંકર રેતીનું તોફાન આવ્યું હતું. પરંતુ મેદાન પર તો તેન્દુલકરનુ તોફાન જોવા મળ્યું હતું. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા સામે 3 દિવસની અંદર રમાયેલી તેમની 2 ઈનિંગને આજે પણ ક્રિકેટ જગતમાં ડેઝર્ટ સ્ટ્રોમ તરીકે જાણે છે. 


ભારતે ફાઈનલમાં પહોંચવા માટે છેલ્લી લીગ મેચ ઓછામાં ઓછા અંતરથી હારવાની કે પછી જીતવાની જરૂર હતી. ભારત સામે 285 રનનો લક્ષ્યાંક હતો. આવામાં તેન્દુલકરે 143 રનની બેજોડ ઈનિંગ રમી જેને આજે પણ વનડેની શ્રેષ્ઠ ઈનિંગમાં ગણવામાં આવે છે. ભારત નીકટના અંતરથી હારી ગયું પરંતુ તેન્દુલકરે ભારતને ફાઈનલમાં પહોંચાડી દીધુ હતું. 



ફાઈનલ તેન્દુલકરના 25મા જન્મદિવસે હતી. તે વખતે ભારત સામે 273 રનનો લક્ષ્યાંક હતો. તેન્દુલકરે 134 રન બનાવ્યાં અને ભારતને જીત અપાવી. મેચ દરમિાયન સ્ટેડિયમમાં હાજર 25 હજાર દર્શકોએ તેન્દુલકરને વોર્નની બોલિંગમા છગ્ગો મારવાની માગણી કરી તો આ સ્ટાર બેટ્સમેને આગળ વધીને બોલરના માથા ઉપરથી છગ્ગો માર્યો હતો. કોમેન્ટેટર ટોની ગ્રેગે વોર્ન અને ત્યારબાદ માઈકલ કાસ્પ્રોવિચના બોલ પર તેન્દુલકરે મારેલા છગ્ગાઓને દેખાડીને કહ્યું હતું કે "જો કોઈ ડોન બ્રેડમેનની ખુબ જ નજીક હોય તો તે આ નાના કદનો માણસ છે."