નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની એલિમિનેટર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જે પણ ટીમ હારશે, તેની સફર સમાપ્ત થઈ જશે. આઈપીએલ 2024ના લીગ રાઉન્ડમાં જ્યાં એક સમયે રાજસ્થાન ટેબલમાં નંબર 1 હતી તો આરસીબી છેલ્લા સ્થાને હતી. પરંતુ આરસીબીએ શાનદાર વાપસી કરી અને સતત છ મેચ જીતી પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. આરસીબીના પૂર્વ કો-ઓનર વિજય માલ્યાએ એલિમિનેટર મેચ પહેલા એક પોસ્ટ શેર કરી, જેને લઈને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. વિજય માલ્યાને લાગે છે કે આઈપીએલ ટ્રોફી જીતવાની આરસીબી માટે શાનદાર તક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું- જ્યારે મેં આરસીબી ફ્રેન્ચાઇઝી પર દાવ લગાવ્યો હતો, ત્યારે મેં વિરાટ કોહલી પર દાવ લગાવ્યો હતો. મારી અંતરઆત્માએ કહ્યું હતું કે હું તેનાથી સારો વિકલ્પ પસંદ ન કરી શકુ. મારી અંતરઆત્મા કહે છે કે આરસીબીની પાસે આઈપીએલ ટ્રોફી જીતવાની આ શાનદાર તક છે. દરેક સ્થિતિની સાથે, બેસ્ટ ઓફ લક.



આઈપીએલ 2024માં આરસીબીની સફર રોમાંચક રહી છે. ટીમે પ્રથમ મેચમાં હારનો સામનો કર્યો ત્યારબાદ બીજી મેચમાં પંજાબ સામે જીત મેળવી હતી. પરંતુ ત્યારબાદ ટીમે સતત છ મેચમાં હારનો સામનો કર્યો અને તેના માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા. આરસીબી પાસે પ્લેઓફમાં પહોંચવાની સંભાવના માત્ર 1 ટકો હતો. પરંતુ ટીમે શાનદાર વાપસી કરી સતત છ મેચમાં જીત મેળવી અને પ્લેઓફની ટિકિટ કપાવી હતી. આજે પણ રાજસ્થાન રોયલ્સ સામે આરસીબી ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.