હૈદરાબાદઃ આરસીબી સામે રોમાંચક મેચમાં મળેલા પરાજય બાદ બે વખતની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ રવિવાર (21 એપ્રિલ)એ અહીં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ વિરુદ્ધ રમાનારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચથી વાપસી કરવા ઈચ્છશે. કોલકત્તાએ શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હાથે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ 12મી સિઝનમાં નવ મેચોમાંથી ચાર જીત અને પાંચ હારની સાથે આઠ પોઈન્ટને લઈને ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો બીજી તરફ હૈદરાબાદ આઠ મેચોમાં ચાર જીત સાથે પાંચમાં સ્થાને છે. 


હૈદરાબાદની ટીમ પોતાના ઘરમાં ગત મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવીને જીતના પાટા પર પરત ફરી અને હવે તેનો પ્રયત્ન કોલકત્તા વિરુદ્ધ રમાનારા મેચમાં પણ જીતની લય જાળવી રાખવા પર હશે. 


હૈદરાબાદના બોલરોએ ચેન્નઈ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે પ્રથમ બોલિંગ કરતા પોતાના નિયમિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિના ઉતરેલી ચેન્નઈને પાંચ વિકેટ પર 132 રન પર રોકી દીધી અને પછી ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


ટીમના લેગ સ્પિનર રાશિદે તે મેચમાં ચાર ઓવરમાં માત્ર 17 રન ખર્ચ કર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. હૈદરાબાદને રાશિદ ખાન પાસે ફરી એકવાર આવા પ્રદર્શનની આશા રહેશે. 


બેટિંગમાં ટીમ વધુ પડતો વોર્નર અને જોની બેયરસ્ટો પર મદાર રાખે છે. બંન્ને બેટ્સમેનોએ ચેન્નઈ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. તો બીજીતરફ કોલકત્તાની ટીમ બેંગલોર સામે થયેલા પરાજય બાદ હૈદરાબાદ વિરુદ્ધ વાપસી કરવા ઈચ્છશે. 


બેંગલોરે આપેલા 214 રનના લક્ષ્યના જવાબમાં કોલકત્તાને આંદ્રે રસેલે 25 બોલ પર 65 રન અને નીતીશ રાણાએ 46 બોલ પર 85 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને લગભગ જીતની નજીક પહોંચાડી દીધી હતી. રસેલ અને રાણા પાસે ટીમને ફરી આક્રમક ઈનિંગની આશા હશે. 


વિશ્વ કપ માટે 15 સભ્યોવાળી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલ કેપ્ટન દિનેશ કાર્તિક આ સમયે આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે. રસેલે બેંગલોરની સાથે રમાયેલા મેચ બાદ કહ્યું હતું કે, આવી સ્થિતિમાં તેને બેટિંગ માટે ઉપર મોકલવો જોઈએ અને હવે જોવાનું રહેશે કે શું ટીમ મેનેજમેન્ટ રસેલને ઉપર મોકલે છે કે નહીં. 


આ સિઝનમાં જ્યારે બંન્ને ટીમો પ્રથમ વાર એક-બીજા વિરુદ્ધ રમી હતી તો કોલકત્તાએ રસેલના 19 બોલ પર બનાવેલા 49 રનની મદદથી છ વિકેટે મેચ જીત્યો હતો.