આ જ મારી ઓળખ છે.... ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા પર માત્ર 2 શબ્દોમાં ગંભીરે દિલ જીતી લીધું
આઈસીસી ટી20 વિશ્વકપ 2024 બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચનું પદ ખાલી થઈ ગયું હતું. રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે ગંભીરના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી હતી. હવે બીસીસીઆઈ સચિવે જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ પૂર્વ ઓપનિંગ બેટર ગૌતમ ગંભીરની ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ગંભીર ટીમ ઈન્ડિયામાં રાહુલ દ્રવિડની જગ્યા લેશે. ગૌતમ ગંભીરના નામની ચર્ચા રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થતાં પહેલા ચાલી રહી હતી, પરંતુ 9 જુલાઈએ ગંભીરનું નામ મુખ્ય કોચ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના કોચ બનવા પર ગૌતમ ગંભીરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું, ' ભારત મારી ઓળખ છે અને પોતાના દેશની સેવા કરવી મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે. અલગ ટોપી પહેરવા છતાં પરત આવી હું સન્માનિત અનુભવી રહ્યો છું. પરંતુ મારૂ લક્ષ્ય તે છે જે હંમેશાથી રહ્યું છે, દરેક ભારતીયોને ગૌરવ અપાવવું. બ્લુ જર્સીવાળા લોકોના ખભા પર 1.4 અબજ ભારતીયોના સપના છે અને હું આ સપનાને સાકાર કરવા માટે પોતાની શક્તિથી બધુ કરીશ.
પ્રથમવાર કોઈ ટીમને કોચિંગ આપશે ગંભીર
નોંધનીય છે કે ગૌતમ ગંભીર પ્રથમવાર કોઈ ટીમ માટે કોચિંગ કરવાનો છે. આ પહેલા તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે મેન્ટોરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આઈપીએલની 17મી સીઝનમાં કેકેઆરને પોતાના માર્ગદર્શનમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેકેઆરને ચેમ્પિયન બનાવ્યા બાદથી ટીમ ઈન્ડિયાના કોચ માટે ગૌતમ ગંભીરના નામની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.