મુંબઈ: ઓસ્ટ્રેલિયા સામે પહેલી વનડે ખરાબ રીતે હારેલી ટીમ ઈન્ડિયાને બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર ઋષભ પંત ઈજાના કારણે ટીમમાંથી બહાર થયો છે. તેની જગ્યાએ ટીમમાં બીજો કોઈ ખેલાડી હાલ સામેલ કરાયો નથી. એટલે કે બીજી વનડે મેચમાં કે એલ રાહુલ વિકેટકિપિંગની જવાબદારી સંભાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ શુક્રવારે રમાશે. ભારતીય ટીમ પહેલી મેચ હારીને સિરીઝમાં પાછળ છે. આથી બીજી વનડે કરો યા મરોનો મુકાબલો બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતને આ મેચમાં બેવડો ફટકો પડ્યો. એક તો મેચ હારી ગયું ને બીજુ ઋષભ પંત ઈજાગ્રસ્ત થયો. આ જ કારણે ભારતે ફિલ્ડિંગમાં પંતની જગ્યાએ બીજા ખેલાડીને મેદાનમાં ઉતારવાનો વારો આવ્યો હતો. 


ઋષભ પંતને મંગળવારે ડોક્ટરની નીગરાણીમાં રાખવામાં આવ્યો હતો. બુધવારે જણાવવામાં આવ્યું કે તે બીજી વનડે રમી શકશે નહીં. તેને માથામાં ઈજા થવાના કારણએ તે મેચમાંથી બહાર થયો છે. હજુ એ નક્કી નથી કે તે ત્રીજી મેચ રમશે કે નહીં. તેનો નિર્ણય તે કેટલું જલદી રિકવર કરે છે તેના પર નિર્ભર છે. 


જુઓ LIVE TV



અત્રે જણાવવાનું કે ઋષભ પંતે મંગળવારે 33 બોલમાં 28 રન કર્યા હતાં. પેટ કમિન્સના બાઉન્સર બોલથી તે ઈજાગ્રસ્ત થયો હતો. પંતે હુક કરવાની કોશિશ કરી હતી પરંતુ બોલ બેટને ટચ થઈને જોરથી હેલ્મેટ સાથે ભટકાયો હતો. હેલ્મેટ સાથે અથડાયા બાદ બોલ પોઈન્ટ પર ઊભેલા એશ્ટન ટર્નરના હાથમાં ગયો અને તેણે કેચ ઝીલી લીધો હતો. 


ઋષભ પંતની જગ્યાએ લોકેશ રાહુલે વિકેટકિપિંગ કરી હતી. બીસીસીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે પંતને બેટિંગ દરમિયાન હેલ્મેટમાંથી બોલ વાગ્યો અને ત્યારબાદ તે ફિલ્ડિંગ કરવા પણ મેદાનમાં ઉતર્યો નહીં. તેની જગ્યાએ કે એલ રાહુલે વિકેટકિપરની ભૂમિકા ભજવી. પંત હાલ નીગરાણી હેઠળ છે.