ચેન્નઈઃ ચેન્નઈમાં રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝના બીજા મુકાબલામાં ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે પોતાની બીજી ઈનિંગમાં 1 વિકેટે 54 રન બનાવી લીધા છે. આ સાથે ભારતીય ટીમની કુલ લીડ 249 રન થઈ ગયા છે. દિવસના અંતે રોહિત શર્મા (25) અને ચેતેશ્વર પુજારા (7) ક્રીઝ પર છે. આ પહેલા ભારતીય ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 134 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતે શુભમન ગિલ (14)ના રૂપમાં એક વિકેટ ગુમાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ, ભારતીય બોલરોનો દબદબો
યજમાન ટીમને પ્રથમ ઝટકો રોરી બર્ન્સના રૂપમાં લાગ્યો જે શૂન્ય રન પર ઇશાંત શર્માના બોલ પર  lbw આઉટ થયો. ઈંગ્લેન્ડને બીજો ઝટકો ડોમ સિબ્લીના રૂપમાં લાગ્યો જે 16 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ભારતને ત્રીજા સફળતા અક્ષર પટેલે અપાવી હતી. તેણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટ (6)ને અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 


બીજા દિવસે લંચ પહેલાના બોલ પર અશ્વિને ડેનિયલ લોરેન્સને ફસાવ્યો હતો. લોરેન્સ 9 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સને બોલ્ડ કરીને અશ્વિને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે ઓલી પોપ (22)ને પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. મોઇન અલી (6) અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. 


આ પણ વાંચોઃ IND VS ENG: હેલિકોપ્ટરથી ચેન્નઈ ટેસ્ટનો નજારો થઈ રોમાંચિત થયા PM Modi, ટ્વિટર પર શેર કર્યો ફોટો  


જેક લીચ 5 રન બનાવી, અને બ્રોડ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન બેન ફોકસે અણનમ 42 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિનને 5, ઈશાંત અને અક્ષર પટેલને બે-બે અને સિરાજને એક સફળતા મળી હતી. 


ભારતની પ્રથમ ઈનિંગ
ભારતે આજે 6 વિકેટે 300 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યુ હતુ, પરંતુ બીજા દિવસે ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા અને ટીમનો સ્કોર 90 ઓવરમાં 8 વિકેટ પર 301 રન થઈ ગયો હતો. અક્ષર પટેલને સાતમાં વિકેટના રૂપમાં મોઇન અલીએ સ્ટમ્પ આઉટ કર્યો, જ્યારે ઈશાંત શર્મા કેચ આઉટ થયો હતો. 


રિષભ પંતે 65 બૂોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. ભારતને નવમો ઝટકો કુલદીપ યાદવના રૂપમાં લાગ્યો હતો. અંતિમ વિકેટના રૂપમાં સિરાજ 4 રન બનાવી ઓલી સ્ટોનનો શિકાર થયો હતો. 


આ પણ વાંચોઃ ENG vs IND: ચેન્નઈમાં અશ્વિને ઝડપી પાંચ વિકેટ, તોડ્યો હરભજન સિંહનો રેકોર્ડ  


મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને ત્રણ શરૂઆતી ઝટકા લાગ્યા, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા જલદી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ રોહિત શર્માએ 162 અને રહાણેએ 67 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube